દેખાદેખીમાં અમદાવાદના ભાગીદારે વેપારીને 16 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ
અમદાવાદ: શહેરમાં ભલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય લાગે પરંતુ જુહાપુરા, ફતેવાડી સહિતના એવા કેટલાય વિસ્તારો છે જેમાં આજે પણ પોલીસના આશીર્વાદથી ટપોરીઓ ડૉન બનવાના સપના જોઈ રહ્યા છે. અમીન જાટ ઉર્ફે અમીન મારવાડી સાથે એક સમયે જમાલપુરના કાપડના વેપારી ફારુકભાઈ મેમણને કન્સ્ટ્રકશન બિઝનેસમાં ભાગીદારી હતી. ફારુક મેમણને તું આજકાલ ઘણા રુપિયા કમાય છે ૧૬ લાખ આપવા પડશે તેમ કહી જાનથી મારી નાખવાની અમીન મારવાડીએ ધમકી આપી હતી.
આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયાની જાણ થતા અમીન મારવાડીએ બીજા દિવસે ફારુક મેમણને ફોન કરીને બિભત્સ ગાળો આપી ફરીથી ધમકી આપી હતી. સ્થાનિક પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચના કેટલાક અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતો અમીન મારવાડી વેપારીઓને ડરાવી ધમકાવીને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખંડણી ઉઘરાવી રહ્યો હોવાની ચર્ચા જુહાપુરામાં ખુલ્લેઆમ થાય છે.