ગુજરાત
News of Monday, 18th November 2019

પેપરલિકની કોઇ પણ ઘટના બની નથી: સુરેન્દ્રનગરમાં જે હોબાળો થયો છે તેમાં માત્ર વર્ગખંડ નિરિક્ષકની ભુલ

ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું નિવેદન

અમદાવાદ :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની  સુરેન્દ્રનગરમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓએ પેપરનું સીલ તુટેલું હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો. સામાન્ય રીતે વર્ગમાં પેપરનું પેકેટ સીલબંધ આવે છે અને બે વિદ્યાર્થીઓને હાજરીમાં તેનું સીલ તોડવામાં આવે છે અને બે વિદ્યાર્થીઓને તેમાં સહી પણ લેવામાં આવે છે. જો કે સુરેન્દ્રનગરમાં આ પેકેટ ન માત્ર ખુલ્લું આવ્યું હતુ પરંતુ કોઇ વિદ્યાર્થીની સહી પણ નહોતી. ઉમેદવારોએ ગેરરીતિની આશંકા સાથે હોબાળો મચાવ્યો હતો. તેમણે આ અંગે પોલીસ તપાસની પણ માંગ કરી છે.

ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું કે, પેપરલિકની કોઇ પણ ઘટના બની નથી. સુરેન્દ્રનગરમાં જે હોબાળો થયો છે તેમાં માત્ર વર્ગખંડ નિરિક્ષકની ભુલ છે. નિરિક્ષકે ભુલથી વર્ગખંડની બહાર જ સીલ તોડી નાખ્યું હતું. જે તેની ભુલ છે પેપર લીક થયાની વાત ખોટી છે. ઘટના અંગે માહિતી મળતા ગૌણસેવાપસંદગી મંડળનો સ્ટાફ અને કલેક્ટર સહિતનાં લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓની સમજાવટ બાદ તેઓ પરિક્ષા માટે તૈયાર પણ થઇ ગયા હતા. અમારા ડેટા અનુસાર માત્ર 20 વિદ્યાર્થીઓએ જ બહિષ્કાર કર્યો હતો. આ સમગ્ર હોબાળા દરમિયાન વિદ્યાર્થીઓનો સમય બગડ્યો તે માટે મંડળ દ્વારા તેમને વધારાનો 45 મિનિટનો સમય પણ ફાળવી દેવામાં આવ્યો હતો. પરિક્ષા ફુલપ્રુફ અને સુરક્ષીત રીતે જ પાર પડી છે.

(11:13 pm IST)