ગુજરાત
News of Friday, 18th October 2019

ઠાસરા તાલુકાના બાધરપુરા નજીક દાહોદથી ડાકોર જતા બસ-ક્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માત: 29 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ પાસે આજે સાંજે દાહોદથી ડાકોર તરફ જઇ રહેલી એસ.ટી બસ નં. જીજે.૧૮, ઝેડ-૧૩૧૦ સામેથી પુરઝડપે આવી રહેલી ક્રેન સાથે અથડાઇ હતી. અકસ્માત એટલો તો ગંભીર હતો કે ક્રેનનો આગળનો આખો ભાગ એસ.ટી બસમાં ઘૂસી ગયો હતો. જેના કારણે બસમાં બેઠેલા ૨૯ જેટલા મુસાફરોને ઇજાઓ પહોચી હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ૨૦ જેટલા મુસાફરોને ઇજાઓ પહોચતા તેમને ડાકોર તેમજ ઠાસરા ના પ્રા.આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અપાઇ રહી છે. જ્યારે જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કોની ભૂલના કારણે સર્જાયો તે હજુ સુધી જાણી શકાયુ નથી. પરંતુ અકસ્માત સમયે બંને વાહનો પુરપાટ ઝડપે જઇ રહ્યા હતા. દરમિયાન એકબીજા સાથે અથડાતા ક્રેનનો આગળનો આખો ભાગ એસ.ટી બસમાં ઘૂસી ગયો હતો.

ધડાકાભેર અકસ્માત થતાં પ્રથમ ઘટનાસ્થળ પર પહોચેલા અને અકસ્માત જોનાર લોકોએ તો ઘટનાસ્થળ પર ૧૫થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાની વાત કરી રહ્યા હતા. જોકે લોકો ઘટનાને પગલે બેભાન થઇ ગયા હોવાનું બાદમાં બહાર આવ્યું હતું. હાલ ૨૯ જેટલા લોકોને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર આપવામા ંઆવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(5:36 pm IST)