ગુજરાત
News of Friday, 18th October 2019

દિવાળી પર્વ પૂર્વે ફટાકડાના ભાવમાં ૩૦ ટકાનો વધારો

દિવાળી તાકડે મંદીની અસર : વેપારીઓમાં ચિંતા : ફટકડા બજારમાં ગ્રાહકોનોે ઓછો ધસારો : છેલ્લા પાંચ દિવસમાં ઘરાકી જામવાની તમામ વેપારીઓને ભારે આશા

અમદાવાદ, તા.૧૮ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખૂલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતની ફટાકડાની વરાઇટી બજારમાં આવી ગઈ છે, પરંતુ મંદીના માર વચ્ચે ફટાકડાના ભાવમાં ૩૦થી ૩૫ ટકા સુધીનો વધારો થયો છે. મંદીના માહોલ વચ્ચે ફટકડા બજારમાં લોકોની ઓછી ભીડ અને ગ્રાહોકના ઓછા ધસારાના કારણે એકબાજુ વેપારીઓમાં ચિંતા પ્રસરેલી જોવા મળી રહી છે તો બીજીબાજુ, અમદાવાદ સહિત રાજયના પ્રજાજનો દિવાળીની મોંઘવારી અને મંદીના માર વચ્ચે ભારે ઉત્સાહ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરવા આતુર બન્યા છે. દિવાળીનો તહેવાર નજીક આવતાં જ બાળકો તેમજ યુવાનોમાં અનેરો આનંદ છવાઈ જાય છે અને નવી-નવી વસ્તુઓની ખરીદી કરવા લાગી જાય છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ફટાકડા બજારમાં પાંચ રૂપિયાથી શરૂ થઇને છ હજાર રૂપિયા સુધીના ફટાકડા વેચાઇ રહ્યા છે. શહેરમાં ૫૦૦ થી વધુ વરાઈટીના નાના-મોટા અને અલગ-અલગ પ્રકારના જાતજાતના અને ભાતભાતના ફટાકડા મળી રહ્યા છે. બાળકોમાં કલર સાવર, મેજિક બોનાન્ઝા, જાદુઈ તળાફળી, દશ કલર પેન્સિલ, સુમો બાક્સ, જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, રોકેટ ફેવરિટ રહ્યાં છે. બાળકો વધુ પડતાં આ વરાઈટીના જ ફટાકડાની પસંદગી કરે છે તો યુવાનોમાં સૂતળી બોમ્બ, વિક્ટર બોમ્બ, વોલ્વો બોમ્બ, કમાન્ડર બોમ્બ, ૨૪૦ શોટ, ૫૦૦ શોટ, ૧૦૦૦ શોટના ફટાકડાએ આકર્ષણ જગાવ્યું છે. તો આ વર્ષે આકાશી બોમ્બ, મ્યુઝિકલ આકાશી બોમ્બ, નવી વરાઇટીના ફટાકડા ૫૦ રૂપિયાથી લઈને રૂ. પાંચ હજારથી આઠ હજાર સુધીના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે તેમજ આ વર્ષે બાળકો માટે અવાજ વગરની વરાઇટી પણ માર્કેટમાં આવી ગઈ છે, જેથી બાળકોને કોઈ નુકસાન ન થાય તો આ વર્ષે ફટાકડામાં જીએસટી કારણે પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે એક પણ ફટાકડા બજારમાં ચાઈનીઝ ફટાકડાનું વેચાણ કરવામાં આવતું નથી. ચાઈનીઝ ફટાકડાની આવક પણ બંધ છે તો બીજી બાજુ વેપારીઓ પણ ચાઈનીઝ ફટાકડાની ખરીદી કરતા નથી.આ બાબતે શહેરના હોલસેલ ફટાકડાના વેપારીઓએ જણાવ્યું કે, આ વખતે ફટાકડા બજારમાં ૩૦ ટકાથી વધુનો ભાવ વધારો થયો છે તેના કારણે અત્યારે વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, હવે છેલ્લા પાંચ દિવસમાં ઘરાકી રહેશે તેવી વેપારીઓને ભારે આશા છે. દિવાળીમાં લોકો ફટાકડા તો ફોડવાના જ, ભાવ વધારાના કારણે થોડા ઓછા ફોડશે પણ ફોડશે.

(8:57 pm IST)