મુખ્યમંત્રીએ કોંગ્રેસને બાયલું કહીને પોતાની માનસિકતા છતી કરી: સ્ત્રી શક્તિનું અપમાન : પરેશ ધાનાણીના પ્રહાર
બે ગુજરાતીઓએ આઝાદી અપાવી બે ગુજરાતીઓ ફરી ગુલામ બનાવશે
અમદાવાદ :વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત જેવા વિકસિત રાજ્યનાં મુખ્યમંત્રી બાયલા જેવા અભદ્ર શબ્દો વાપરે તે શોભનીય નથી.
પરેશ ધાનાણીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ કોંગ્રેસને બાયલું કહીને પોતાની માનસિકતા છતી કરી છે. મુખ્યમંત્રી પદ પર બેઠેલાએ એક સ્ત્રી શક્તિનું અપમાન કર્યું છે. બાયડમાં પરેશ ધાનાણીએ સભા દરમિયાન જણાવ્યું કે, જેના થકી સમગ્ર વિશ્વ છે તે તેવી સ્ત્રી શક્તિનું મુખ્યમંત્રીએ અપમાન કર્યું છે. તે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.
પરેશ ધાનાણીએ ભાજપ પર પણ પ્રહારો કરતા કહ્યું કે, એનઆરસી મુદ્દે પણ મોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. ભાજપ સરકાર આધુનિક અંગ્રેજ સરકાર છે. જે ભાગલા પાડો અને રાજકરોની નીતિમાં માને છે. બે ગુજરાતીઓએ (મહાત્મા ગાંધી અને સરદાર પટેલ) આ દેશને આઝાદી અપાવી. હવે બે ગુજરાતીઓ (વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ) ફરી એકવાર દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. જો કે ગુજરાતની પ્રજા જાગૃત છે તે આ ષડયંત્રને સફળ થવા નહી દે.