ઠાસરાના સૈયાતમાં માતાને દોઢ વર્ષના પુત્ર સાથે મરવા માટે મજબુર કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
ઠાસરા: તાલુકાના સૈયાંતમાં પરિણીતાએ દોઢ વર્ષના માસુમ દીકરા સાથે અગનપિછોડી ઓઢી જિંદગીનો અંત આણ્યો હતો. આ કરૂણ બનાવ અંગે મૃતકના પિયરીયાઓની ફરિયાદ આધારે ઠાસરા પોલીસે સાસુ અને દિયર સામે આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજના ગમનજીના મુવાડાના કૈલાસબેનના લગ્ન ઠાસરા તાલુકાના સૈયાંતમાં રહેતા અશોકભાઈ મનુભાઈ ચાવડા સાથે થયા હતા. આ લગ્નજીવન દરમ્યાન એક દીકરાનો જન્મ થયો હતો. પતિ અશોકભાઈ અમદાવાદ નોકરી કરતો હોઈ પત્ની - દીકરા સાથે સૈયાંત રહેતી હતી. આ દરમ્યાન ગઈકાલે રાત્રી સમયે કૈલાશબેન તેના માસુમ દીકરા નીતિન (ઉંમર - દોઢ વર્ષ)ને સાથે રાખી સળગી જતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ બનાવની જાણ થતા કૈલાસબેન તથા નીતિનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ફરજ તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ કરૂણાંતિકાની મૃતકના પિયરીયાઓને જાણ થતા તેઓ સૈયાંત ગામે દોડી આવ્યા હતા. તેઓએ કૈલાસબેને સાસુ કમુબેન અને દિયર કિરણભાઈ મનુભાઈ ચાવડા અવારનવાર નજીવી બાબતે ઝઘડો કરી ત્રાસ ગુજારતા હોઈ સહન ન થતાં સળગી જવા મજબૂર બની હોવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે ઠાસરા પોલીસે કનુભાઈ નાનાભાઈ વાઘેલાની ફરિયાદ આધારે સાસુ-દિયર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.