ગુજરાત
News of Thursday, 18th October 2018

વિજયાદશમી પ્રસંગે રૂપાણીએ તમામ લોકોને શુભેચ્છા પાઠવી

મુખ્યમંત્રી કાલે શસ્ત્ર પૂજન વિધિમાં ભાગ લેશે : મુખ્યંમત્રીના આવાસ પર સુરક્ષા કર્મીઓ સાથે શસ્ત્રપૂજા સૂર્યશક્તિ કિસાન યોજનાનું બારડોલી ખાતેથી ખાતમૂર્હૂત

અમદાવાદ,તા.૧૭ : વિજય રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, શક્તિની આરાધનાના પર્વ અને  વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રી પછી આવતું વિજયાદશમી પર્વ સમગ્ર ભારતમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે. મુખ્યમંત્રીએ વિજયાદશમીનું આ પર્વ રાષ્ટ્ર અને સમાજ સામે પડકારરૂપ વિઘટનકારી અને માનવતા વિરોધી શક્તિઓને પરાસ્ત તથા સમાજની એકતા તોડવા માંગતા પરિબળોને નાથીને સદભાવના-સમરસતા સૌહાર્દ અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડી 'રામરાજ્ય'ની અનૂભુતિ કરાવતું પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી તા. ૧૮ ઓક્ટોબર ગુરુવારે વિજયાદશમીના અવસરે પરંપરા અનુસાર મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન સુરક્ષા કર્મીઓ સાથે કરશે. મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા પોલીસકર્મીઓ-અધિકારીઓ આ શસ્ત્રપૂજનમાં જોડાશે. બીજી બાજુ રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના કર્મઠ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી પગલાં લીધાં છે જેમાં અત્યંત મહત્વાકાંક્ષી સ્કાય યોજના એટલે કે, સૂર્ય શક્તિ કિસાન યોજના સ્વરૂપે ખેડૂતોને હવે નવતર લાભ મળશે જેના દ્વારા ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ વીજળી વાપરી વધારાની વીજળી વીજ કંપનીને વેંચી પણ શકશે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાથી રાજ્યના ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે. રાજ્ય સરકારની આ અત્યંત મહત્વકાંક્ષી સ્કાય સૂર્ય શકિત કિસાન યોજનાનું ખાતમુહૂર્ત બારડોલી ખાતેથી આગામી તા.૧૯-૧૦-૧૮ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે. આ અંગેની વધુ વિગતો આપતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના બારડોલી ખાતે ૧૧ કે.વી. ખાનપુર, ખલી, નાનીફલી ખેતીવાડી ફીડરના કુલ ૧૨૦ ખેડૂતોએ આ યોજનામાં જોડાઈને તેમના ફાળાની ૫% રકમ ભરપાઈ કરી દીધી છે અને તેવા ખેડૂતોના ત્યાં સોલાર પેનલ બેસાડવાના કાર્યનો પ્રારંભ થશે.

(9:39 pm IST)