વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી નહિં થાય
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઓફીસમાં બેઠક : વિજયભાઈએ કહ્યું આરોગ્ય તંત્રને સુચના આપી છે કે કેશુભાઈને સારામાં સારી સારવાર મળવી જોઈએ
(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૮ : આજે સવારે ૧૧ વાગ્યાથી વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના ઓફીસમાં વિધાનસભાની બાબતે એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજયમંત્રી સંસદીય બાબતોના મંત્રી ઉપસ્થિત હતા.
આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે તેઓએ માજી મુખ્યમંત્રી કેશુભાઈની તબિયતની પૂછા કરી હતી અને નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય તંત્રને સુચના આપી કે કેશુભાઈને સારી સારવાર મળવી જોઈએ.
ત્યારબાદ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે કોરોનાની પરિસ્થિતિને કારણે આ બાબતે પ્રશ્નોત્તરી કામ રદ્દ કરવામાં આવ્યો છે. પરંતુ ટૂંકી મુદ્દતના પ્રશ્નો માટે મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત પ્રથમ દિવસે બીજી બેઠકમાં કોરોનાના પ્રશ્ને ચર્ચા આપવામાં આવી છે.
સરકાર સાથ નહિં આપે તો લડત : પરેશ ધાનાણી
બીજી તરફ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ કે અમે પંદર દિવસના સત્રના સમયની માંગણી કરી હતી. પરંતુ તે માન્ય ન રાખી અને માત્ર પાંચ દિવસમાં પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો.
તેમણે જણાવ્યુ કે રાજયમાં દિવસે ને દિવસે લોકોની નોકરીઓ જાય છે. ખેડૂતોને પાક, વિમા, યુવાનોને રોજગારી આપો વગેરે મુદ્દાઓ ઉપર સરકાર સાથ નહિં આપે તો સરકાર સામે દરેક તબક્કે લડત આપવાની વાત દહોરાવી હતી.
વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યોનો પ્રશ્નો પૂછવાના અધિકાર છે અને આવી મહત્વની બાબત સરકાર રદ્દ કરે છે તે વ્યાજબી નથી.