નેચરોપથીની સારવાર માટે હાર્દિક બેંગ્લોરમાં કેજરીવાલે પણ ક્રોનીક કફની સારવાર કરાવી'તી
અમદાવાદ, તા. ૧૮ : 'પાસ'ના નેતા હાર્દિક પટેલ બેંગ્લોરના જીંદાલ નેચર કેર ઇન્સ્ટીટયુટમાં નેચરોપથીની સારવાર માટે ગયા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ભૂતકાળમાં ક્રોનીક કફ અને ડાયાબીટીસની સારવાર અહીંઆ સફળતાપૂર્વક કરાવી હતી.
પાસના પ્રવકતા મનોજ પનારાએ કહ્યું હતું કે હાર્દિક પટેલે આજે અમદાવાદથી બેંગ્લોરની ફલાઇટ પકડી હતી. તે ર૯ સપ્ટેમ્બરે અમદાવાદ પાછા ફરશે.
હાર્દિકે અનિશ્ચિત મુદતના ઉપવાસની જાહેરાત કરી હતી જેનો પછીથી ફીઆસ્કો થયો હતો. રપ ઓગસ્ટે ગ્રીનવુડ રીસોર્ટ ખાતેના તેના નિવાસસ્થાને ઉપવાસ શરૂ થયા હતા, જે કોઇ પણ પ્રકારની સરકારી ખાતરી વગર ૧ર સપ્ટેમ્બરે પૂરા કરાયા હતા. ખેડૂતોની લોન માફી, પાટીદાર અનામત કવોટા અને તેના સાથીદાર અલ્પેશ કથીરીયાની જેલ મુકિત એમ ત્રણ માંગણી હાર્દિકે કરી હતી.
આ પૂર્વે તેના ઉપવાસ દરમ્યાન સારવાર માટે તેને બેંગ્લોર લઇ જવાના સમાચારો આવ્યા હતા જેનું પાસ દ્વારા ખંડન કરાયું હતું.
બેંગ્લોર-ટુમકર મેઇન રોડ પર આંચેપલ્યા નામના ગામમાં આ પ્રસિદ્ધ નેચરોપથી ટ્રીટમેન્ટ સેન્ટર આવેલુ છે.