વિરગમામ સહિત અમદાવાદ જીલ્લામાં શીતળા સાતમની પરંપરાગત ઉજવણી કરવામાં આવી : મેળામાં લોકો ઉમટ્યા
વિવિધ મંદિરોમાં બહેનો શિતળા માતાજીને દિવો પ્રગટાવી, શ્રીફળ, કુલેરની પ્રસાદી ધરાવી પૂજન અર્ચન કરી આશિર્વાદ મેળવ્યા
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રાવણ મહિનો એટલે તહાવારોનો મહિનો. વિરમગામ, માંડલ, દેત્રોજ – રામપુરા, સાણંદ, બાવળા તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં શ્રાવણ વદ સાતમના દિવસને શીતળા સાતમ તરીકે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. સાતમનાં દિવસે મહિલાઓ શીતળા માતાજીને શિષ ઝુકાવી પોતાના નાના સંતાનોનાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી એક દિવસનાં એકટાણા, ઉપવાસ કર્યો હતો. સાતમે મોટા ભાગના લોકોએ ઠંડુ ભોજન આરોગ્યુ હતુ. મુનસર તળાવ, સિદ્ધનાથ મહાદેવ મંદિર સહિત વિવિધ મંદિરોમાં બહેનો શિતળા માતાજીને દિવો પ્રગટાવી, શ્રીફળ, કુલેરની પ્રસાદી ધરાવી પૂજન અર્ચન કરીને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધનપૂજા અને કર્મપૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ માતાજી કરાવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે તેવી લોકોમાં ધાર્મિક માન્યતા છે.
વિરમગામમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણ અને શેઠ એમ જે હાઇસ્કુલના મેદાનમાં ભરાયેલ મેળામાં અનેક લોકોએ વિવિધ રાઇડની મૌજ માણી હતી. વિરમગામના લોક મેળામાં બહાર ગામથી પણ અનેક લોકો આવી રહ્યા છે અને મનોરંજન માણી રહ્યા છે