જમીન બતાવી 20 લાખ પડાવી લેનાર સાધુને અંકલેશ્વર પોલીસે દબોચી લીધો
સાધુના વેશમાં ધૂતારાએ બાનાખત બનાવી 70 લાખની પેટે 20 લાખ પડાવી લીધા ;બાદમાં ફરાર થઇ ગયો
અંકલેશ્વરના એક વ્યક્તિને જમીન બતાવી 20 લાખ પડાવી લેનાર સાધુની અંકલેશ્વર પોલીસે અટકાયત કરી છે.
આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વરના રહેવાસી અરવિંદભાઇ પટેલને વર્ષ 2013 માં જમીન ખરીદવા બાબતે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના નામે કેટલાક વ્યક્તિઓનો સંપર્ક થયો હતો. અને નર્મદા જિલ્લાની એક જમીનનો સોદો હતો.
દરમિયાન સાધુના વેશમાં ધૂતારાએ બાનાખત બનાવી 70 લાખની પેટે 20 લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ ભંડોળ ભેગું થશે ત્યારે જમીનનો સોદો કરાશે તેવી વાત થયા બાદ આ નાણાં લઇ તેઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે જે તે સમયે ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ ગુનામાં સંડોવાયેલ સ્વામી વિષ્ણુચરણ દાસ નામના વ્યક્તિની નવસારી પોલીસે આવા જ એક ગુનામાં અટકાયત કરી હતી જેને આ ગુનો પણ કબુલતા પોલીસે વિષ્ણુ ચારણ દાસજી સ્વામીની અટકાયત કરી છે. સદર ગુનામાં હજુ કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા છે જેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે