નડિયાદ તાલુકાના મહોળેલની યુવતી પર બળાત્કાર ગુરી એસિડ નાખી મારી નાખવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ
નડિયાદ: તાલુકાના મહોળેલની યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી એસીડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવે પંથકમાં ચકચાર પચાવી છે. આ બનાવ અંગે ત્રણ ઈસમો સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના મહોળેલ પાલૈયા ફળીયાની સીમમાં રહેતી યુવતીને ગત તા. ૫-૭-૧૮ના રોજ ગામમાં રહેતો નરેશભાઈ કાંતિભાઈ સોલંકી લગ્ન કરવાની લાલચ આપી ફોંસલાવી પટાવી ભગાડી ગયો હતો. બાદમાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ નરાધમે કુકર્મ ગુજાર્યા બાદ આ યુવતીને દસ દિવસ સુધી ગોંધી દુષ્કર્મ ગુજાર્યા બાદ માર માર્યો હતો. તેમજ આ બનાવની કોઈને જાણ કરીશ તો એસીડ નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુનામાં યુવતીને ભગાડી જવામાં તેના મિત્રો કિશન સંપતરાય રાજપુરોહિત તથા વિશાલે મદદગારી કરી હતી. આ બનાવ અંગે યુવતીની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે નરેશ કાંતિભાઈ સોલંકી, કિશન સંપતરાય, રાજપુરોહિત તેમજ વિશાલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.