ખાસ સંજોગો સિવાય બદલીવાળી જગ્યાએ તૂર્ત જ હાજર થવા પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા તાકીદના આદેશો
આદેશ સંદર્ભે જ મનોજ અગ્રવાલ ચાર દિ'ના બદલે આજે જ રાજકોટમાં હાજર થઈ ગયા
રાજકોટ, તા. ૧૮ :. રાજ્ય પોલીસ તંત્રના સિનીયર કક્ષાના અધિકારીઓની રાજ્ય સરકારે લાંબી રાહ જોવડાવ્યા બાદ કરેલા આઈપીએસ અધિકારીઓના બઢતી-બદલી સંદર્ભેના ઓર્ડરોના અનુસંધાને રાજ્યમાં પૂર અને વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ જેઓની બદલી કરવામાં આવી છે તેઓએ તાકીદે પોતાની મૂળ જગ્યાએ હાજર થવા આદેશો છોડયાનું ટોચના સૂત્રો જણાવે છે.
સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ખાસ સંજોગો સિવાય આ હુકમનો અમલ ચૂસ્તતાથી કરવા થયેલ સૂચના મુજબ ચાર દિવસ પછી હાજર થવાના હતા તેવા રાજકોટના નવા પોલીસ કમિશ્નર ગઈકાલે ડીજીપી ઓફિસના આદેશ સંદર્ભે આજે પોતાના હોદાનો ચાર્જ બદલી પામેલ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પાસેથી સંભાળી લીધો હતો.
સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સાઉથ ગુજરાતમાં ખાસ કરીને સુરત શહેર અને સાઉથના અન્ય ગ્રામ્ય વિસ્તારો જેમની હકુમતમાં આવે છે તેવા ઉચ્ચ અધિકારીઓએ કોઈપણ સંજોગોમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી હતી.
દરમિયાન પીઆઈ ટુ ડીવાયએસપીના બઢતીના ઓર્ડરોમાં વિલંબ થતા પોલીસ તંત્રમાં ગણગણાટ શરૂ થયો છે અને રાજ્યના પોલીસ વડા મારફત રજૂઆતો પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.