ગુજરાત
News of Friday, 18th June 2021

રથયાત્રાની મંજૂરી, ગાંધીનગર માટે હા કહેતો હાથ, ના કહે તો નાક કપાય તેવી હાલત

રાત્રિ કરફયુ, દુકાન બંધ કરવાની સમય મર્યાદા જ નહિ, લગ્ન અને મરણની નિયત સંખ્યાના નિયંત્રણો હટાવવા પડેઃ સંભવિત ત્રીજી લહેરની લાલબત્તી ધ્યાને રાખી સળગતું પકડવા તંત્ર ભડકી રહ્યુ છે : ભકતોની લાગણી અવગણવા સરકાર માગતી નથી પરંતુ સાઈઝ ઘટાડી મંજૂરી આપવામાં આવે ત્યારે લોકો દર્શનનો પ્રત્યક્ષ લહાવો લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે, વાત અહીથી અટકતી નથી, બેકાબૂ ભીડને નિયંત્રિત કરવા પોલીસ બળ પ્રયોગ કરે તો વિપક્ષોને નવો મુદ્દો મલી જાય : ગણપતિ ઉત્સવ,શ્રાવણી મેળા અને મોહરમ સહિતના તહેવારોની મંજૂરી સ્વાભાવિક માગવામાં આવે ત્યારે શું જવાબ આપવો? મુંજવણનો રસ્તો મળતો નથી

રાજકોટ, તા.૧૮:  ગુજરાત સરકાર માટે એક પછી એક પડકારજનક પ્રશ્નોની વણઝાર થંભતી ન હોય તેમ ભોમાંથી ભાલા ઉગે તેમ બહાર આવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય રહીછે.આવી પરિસ્થિતિમાં વધુ એક સમસ્યા એટલે અમદાવાદમાં દર વર્ષે યોજાતી રથયાત્રાની મંજૂરી માટે શું કરવું? વાત ભલે સામાન્ય લાગે પણ તેના સૂચિતાર્થ ઘણા ઊંડા છે, ટુંકમાં કહીએ તો ગાંધીનગરની હાલત ના કહેતો નાક અને હા કહેતો હાથ કપાય તેવી છે.                        

કોરોના મહામારી અત્યારે ભલે કાબૂમાં છે પરંતુ બીજી લહેર સમયે જે રીતે સ્થિતિ સર્જાઈ, લોકોની નારાજગી અને કોર્ટની ટિક્કા ધ્યાને લઇને હવે સંભવિત ત્રીજી લહેર માટે સરકાર કટિબદ્ઘ બની હોવાથી રાત્રિ કરફ્યુ જેવા નિયંત્રણ ,  ધંધા રોજગાર પર્ નિયંત્રણ યથાવત્ છે, એટલુજ નહિ મરણ અને લગ્નમાં પણ મર્યાદિત સંખ્યાના નિયંત્રણ છે, બીજી બાજુ સ્થિતિ નોર્મલ હોય તો જ મંજૂરી આપી શકાય ,સ્થિતિ નોર્મલ છે તે માટે ઉકત નિયંત્રણ દૂર કરવા પડે જે માટે  સલાહકારો કોઈ રીતે મંજૂરી આપવાનો મત ધરવતા નથી પોલીસ અદ્યિકારીઓ પણ ખાનગીમાં આવો મત ધરાવે છે,પોલીસ તંત્રને ભીતિ એ છે કે ગણપતિ મોહત્સવ .શ્રાવણી મેળા તથા મોહરમ માટે પણ સ્વાભાવિક મંજૂરી માગવામાં આવે.                                  

સાઈઝ ઘટાડી ભકતોની લાગણી જીતવા મંજૂરી આપવામાં આવે તો દર્શન માટે આવતી ભીડ રોકવી લગભગ અશકય બને , ભૂલે ચૂકે ભીડ કાબૂમાં કરવા પોલીસ બળ પ્રયોગ કરે તો દેકારો મચે અને વિપક્ષોને મુદ્દો મળી જાય.                    

નિયંત્રણ હળવા થતાં જ લોકોની ભીડ જે રીતે ઉમટી રહી છે, તે જોઈ તંત્ર વાહનોના બીપી વધી રહ્યા છે, ઘણા લોકો ફરી એક વખત કોરોના ચાલ્યો ગયો હોય તે રીતે વર્તે છે તેવો તંત્રનો સર્વે છે. આથી જ કરફ્યુ ભંગ ગુન્હા દાખલ થવા સહિત  ઘણી જગ્યા પર ગુનેગાર જેમ હાથમાં પાટી પકડાવી ફોટો પડાવી લોકો બહાર ન નીકળે તેવા પ્રયાસો થાય છે.

(1:04 pm IST)