વડોદરાના અટલાદરામાં 16 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ શરૂ
વડોદરા:અટલાદરા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ અંગેનીવિગત એવી છે કે, અટલાદરા વિસ્તારમાં રહેતી મહિલાને સંતાનમાં ચાર પુત્રીઓ છે. મહિલા એક મોલમાં નોકરી કરે છે. જ્યારે તેના પતિ વોચમેન છે. ગત ૧૫મી જુને બપોરે સાડાબાર વાગ્યે મહિલા નોકરી પર ગઈ હતી અને સાંજે સાડા સાત વાગ્યે તેના પતિ નોકરીએ ગયા હતા. તે દરમિયાન તેમની ૧૬ વર્ષની સૌથી મોટી પુત્રી કોઈને કશું કીધા વિના ઘરેથી જતી રહી હતી. મહિલા રાત્રે દશ વાગ્યે નોકરીએથી પરત ઘરે આવી ત્યારે તેને જાણ થઈ હતી કે મોટી પુત્રી ક્યાંક જતી રહી છે .આ પુત્રીના કપડાની થેલીમાંથી એક મોબાઈલ ફોન બંધ હાલતમાં મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોન પોતાની પુત્રી પાસે કઈ રીતે આવ્યો ? તેની જાણ મહિલાને કે પરિવારના અન્ય સભ્યોને નથી. આ અંગે મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.