નડિયાદમાં વિધવાને રિક્ષામાં બેસાડી 66 હજારના દાગીના પડાવી લઇ ચાર યુવતી છૂમંતર.....
નડિયાદ: શહેરમાં રહેતી એક વિધવાને રીક્ષામા ંબેસાડીને શહેર મામલતદાર કચેરીમાં જઈ વિધવા સહાય અપાવવાના બહાને અજાણી ચાર યુવતિઓએ રૂ.૬૬,૦૦૦ ના દાગીના કાઢી લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ બારકોશીયા રોડ પર આવેલ ગુલિસ્તાન સોસાયટીમાં રહેતાં સલીમાબીબી ઈસામબેગ મિર્ઝા (ઉં.વ. ૭૮) વિધવા છે. પોતાના ઘર આગળ ગોળી-બિસ્કીટની દુકાન કરી જીંદગી ગુજારે છે.તા.૧૫ જૂનના રોજ તેઓને ત્યાં એક રીક્ષામાં ત્રણ અજાણી યુવતિઓ આવી હતી. અને જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં વિધવા સહાય રૂ.૧૦,૦૦૦ અપાય છે. તમારે જોઈતી હોય તો અમારી સાથે આધારકાર્ડ લઈને ચાલો. આ સાંભળી સલીમાબીબી રૂ.૧૦,૦૦૦ ની લાલચમાં આ અજાણી મહિલા સાથે રીક્ષામાં બેસી ગઈ હતી. જો કે રીક્ષા ડ્રાઈવર યુનુસભાઈ વ્હોરાને તે ઓળખતી હોઈ તેને એકલા બેસી જવામાં કોઈ ડર ના હતો. આ રીક્ષા તાલુકા પંચાયત કચેરીએ આવી ત્યારે ૨૦ થી ૨૨ વર્ષની એક યુવતિ રીક્ષામાં બેઠી હતી. અને આ ચારેય યુવતિઓ સાથે તેઓ શહેર મામલતદાર કચેરીએ આવ્યાં હતાં.