2018 બેચના તાલીમી 22 IPS યુવા અધિકારીઓમુખયમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે
રૂપાણીએ અરજદાર કે રજૂઆત કર્તા પ્રત્યે સંવેદનશીલ અને સૌજન્યપૂર્ણ વ્યવહારની શીખ આપી
અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરમાં 22 જેટલા પ્રોબેશનરી IPS અધિકારીઓએ શુભેચ્છા-સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. 2018ની તાલીમી IPS બેચના આ અધિકારીઓ તેમના તાલીમ-અભ્યાસના ભાગરૂપે 15 દિવસ માટે વિવિધ રાજ્યોની મૂલાકાત જે-તે રાજ્યની સાંસ્કૃતિક અને સામાજીક ગતિવિધિઓ તેમજ ફિલ્ડ ફંકશનીંગની જાણકારી મેળવવાના હેતુસર લેતા હોય છે. આ અંતર્ગત 22 જેટલા તાલીમી IPS યુવાઓ ગુજરાતની મૂલાકાતે આવેલા છે.
મુખ્યમંત્રીએ આ યુવા તાલીમી અધિકારીઓને ગુજરાતની સુદ્રઢ કાયદો વ્યવસ્થા, સી.સી.ટી.વી. સર્વેલન્સ નેટવર્ક, સાયબર સિકયુરિટીમાં અદ્યતન તકનીક વિનિયોગ અને ડ્રોન ટેકનોલોજી સહિતના આયામોની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઇ પણ રાજ્યમાં પબ્લીક સર્વિસીસ-જાહેર સેવાઓમાં IPS, IASની ભૂમિકા અહેમ હોય છે.
વિજયભાઈ રૂપાણીએ અરજદાર કે રજૂઆત કર્તા પ્રત્યે સંવેદનશીલ અને સૌજન્યપૂર્ણ વ્યવહારની શીખ આપતાં કહ્યું કે, પદ સાથે પ્રતિષ્ઠા ત્યારે જ મળે છે જ્યારે સામાન્ય માનવીના હ્વદયમાં સંનિષ્ઠ અધિકારી તરીકે કોઇ વ્યકિત પ્રસ્થાપિત થાય તેવા વ્યવહાર-વર્તન હોય. તેમણે આ યુવાઓને પ્રેરણા આપતાં ઉમેર્યુ કે, ઇશ્વરે જનસેવા કરવાના જે અવસર આવી ઉચ્ચ સર્વિસ દ્વારા આપ્યા છે તેને ભલિભાંતિ નિભાવી રાષ્ટ્ર-રાજ્યનું ગૌરવ વધારવાનું દાયિત્વ યુવા પેઢી નિભાવે.