વાવાઝોડુ રાત્રીના બનાસકાંઠા જીલ્લામાં થઇને રાજસ્થાનમાં પ્રવશસેઃ ઍસ.ટી. વિભાગ દ્વારા ૧૭૩ રૂટની સેવા બંધફ પાટણ જીલ્લામાં તંત્ર ઍલર્ટ
અમદાવાદ: તૌકતે વાવાઝોડાએ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે. વાહનોનો કચ્ચરધાણ નીકળી ગયો છે. ગઈકાલથી ગુજરાતીઓના માથા પર મંડરાઈ રહેલો આ ખતરો હવે ક્યારે જશે તેવુ લોકો વિચારી રહ્યાં છે. ત્યારે તમને જણાવી દઈએ કે, આજે મંગળવારે સાંજ સુધીમાં આ સંકટ દૂર થઈ જશે. સૌરાષ્ટ્રથી શરૂ કરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તબાહી મચાવીને વાવાઝોડું રાજસ્થાનમાં પ્રવેશ કરશે.
- આજે રાત્રે બનાસકાંઠા થઈને રાજસ્થાનમાં જશે વાવાઝોડું
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડું નબળુ પડી રહ્યું છે. હાલ 105 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યુ છે તેમ તેમ તે નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે બપોરે પ્રવેશ કરશે. તેમજ રાત્રીના 11 થી 12 કલાકની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. એટલે કે આજે રાત્રે ગુજરાત પરથી આ સંકટ દૂર થશે.