આણંદમાં અપશબ્દો બોલવાની ના કહેતા પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોનો હુમલો: પોલીસ ફરિયાદ
આણંદ:શહેરના નુતનનગર પાસે આવેલી મીલન સોસાયટીમાં ગઈકાલે સાંજના સુમારે ગાળો બોલવાની બાબતે થયેલી તકરારમાં ત્રણ શખ્સોએ પતિ-પત્ની અને બે પુત્રોને માર મારતાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને પુત્રોને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે શહેર પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર મીલન સોસાયટીમા રહેતા ફરિયાદી નઝમાબાનુ સલીમભાઈ શેખને નજીકમાં જ રહેતા ઝાકીર ખલીફા દ્વારા ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કરતાં તેમણે ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા ઝાકીરે ગડદાપાટુનો માર મારીને ઝપાઝપી કરતાં તેણીના કપડાં પણ ફાટી જવા પામ્યા હતા. નઝમાબાનુના બે પુત્રો સમીર અને સુહાન વચ્ચે પડતાં તેમને બ્લોકનો ટુકડો માથામાં મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સલીમભાઈ પોતાની દુકાનેથી ઘરે જતાં ઝાકીર ખલીફા, મુન્ના ખલીફા તેમજ ઈમરાને ભેગા મળીને તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમ્યાન આસપાસના લોકોએ વચ્ચે પડીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતાં જતા ત્રણેય જણાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.