રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો ;અમદાવાદમાં ધૂળની ડમરી ઉડી
જોરદાર પવન અને ધૂળની ડમરીઓને કારણે વાતાવરણમાં બદલાવ
અમદાવાદ:અરબ સાગરમાં સક્રિય થયેલા ‘સાગર’ વાવાઝોડાને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો થયો હતો અમદાવાદમા ધૂળિયું વાતાવરણ છવાઇ ગયું છે. વાતાવરણમાં બદલાવ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જોવા મળ્યો છે.
ગઈકાલ સાંજથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.બપોર સુધી તો ગરમીનું જોર રહ્યું, પણ બપોર થતાં જ જોરદાર પવન અને ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થઈ ગયું હતું. જોરદાર પવન અને ધૂળની ડમરીઓને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. દરમિયાનમાં અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે.
અતિશય ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ પર નહિવત્ ટ્રાફિક જોવા મળતો હતો, એમાંય જોરદાર પવનો અને ધૂળની ડમરીઓએ વધારે મુશ્કેલી ઊભી કરી. આગામી દેશના કેટલાક ભાગોમાં 24 કલાકમાં આંધી અને વરસાદ આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઇ છે. વાતરવણમાં આવેલા આ બદલાવની અસર દિલ્હી-NCR સહિત અન્ય રાજ્યોમાં પણ થશે.
એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે કે, કલાકનાં 80થી 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 3 દિવસ સુધી આ અસર રહેશે