ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે બેડ- ઓક્સિજન- ડોક્ટર ઇન્જેક્શનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષતો નથી રચતાને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ખુરશીની ઘાંણી, પ્રજા સલવાણી” શિર્ષક હેઠળ ટ્વિટર પર ફરી મુખ્યમંત્રી પર કર્યો કટાક્ષ
ગાંધીનગર: ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાએ સરકારની સ્વાસ્થ્ય સુવિધાની પોલ ખોલી નાંખી છે, ત્યારે વિપક્ષ નેતા ધાનાણી પણ સતત રાજ્યની રુપાણી સરકાર પર આકરા પ્રહાર કરતા જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને રૂપાણી સરકારને આડેહાથ લીધી છે.
પરેશ ધાનાણીએ ખુરશીની ઘાંણી, પ્રજા સલવાણી” શિર્ષક હેઠળ કરેલા પોતાના ટ્વીટમાં રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કાળમુખા કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે. હાલ ઈન્જેક્શન, ઑકેસિજન, ડૉક્ટરો અને બેડની અછતથી લોકો મોતને ભેટી રહ્યાં છે. એવામાં શું મોતનું તાંડવ રચીને માત્ર મુખ્યમંત્રીને બદલવાનું બહાનું શોધાઈ રહ્યું છે?
જણાવી દઈએ કે, અગાઉ પણ કોંગ્રેસ નેતા રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિનો સામનો કરવા માટે સરકારની તૈયારી પર સવાલ ઉઠાવી ચૂક્યાં છે. તાજેતરમાં જ પરેશ ધાનાણીએ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેમાં પાટીલ ઉપરાંત સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પાસે સુરત સ્થિત ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણ મુદ્દે જવાબ માંગવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા દ્વારા દાખલ અરજીમાં ફાર્મસી એક્ટ,1949ની કલમ-42નું ઉલ્લંઘન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.