વડોદરાના સાવલી નજીક મરણના દાખલાના આધારે બોગસ સર્ટિફિકેટ મેળવી જમીન પચાવી પાડનાર ભેજાબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સાવલી:બોગસ મરણ દાખલાના આધારે પ્રોબેટ સર્ટિફિકેટ મેળવી સાવલી તાલુકાના પીલોલ ગામની જમીન પડાવી લેવાનો કિસ્સોબહાર આવતા પોલીસે ભેજાબાજ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પીલોલ ગામમાં રહેતા ગૌતમ ઉદેસિંહ બારીયાએ સાવલી પોલીસમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પીલોલ ગામની સીમમાં આવેલી શંકરભાઈ મંગળભાઈ પરમારની માલિકીની જમીન તેઓ પાસેથી તા. ૩૦ ઓગસ્ટ ૧૯૭૨ના રોજ મારા દાદી કાશીબેન હોથાભાઈ પરમારે વેચાણ દસ્તાવેજ કરીને લીધી હતી. જમીનની ખરીદી બાદ સરકાર દ્વારા આપવામાં આવતી ખેડૂત પોથીમાં મારા દાદી કાશીબેનનું નામ દાખલ થયું હતું અને વર્ષોથી આ જમીન અમારા કબજામાં છે.
વર્ષ-૨૦૧૮માં પિતરાઈ ભાઈનો મારા પર ફોન આવેલ કે કેટલાક માણસો ખેતરમાં આવીને બોલાચાલી કરતા હતા અને જમીન પોતાની છે તેમ જણાવી ઝઘડો કર્યો હતો. બાદમાં મામલતદાર કચેરીમાં જમીનની નકલો કઢાવતા જાણવા મળ્યું હતું કે વર્ષ-૨૦૦૫માં આ જમીનના મૂળ માલિકના પુત્ર રાવજીભાઈ શંકરભાઈ પરમારે વડોદરામાં ન્યુ સમારોડ પરની નવરચના સોસાયટીમાં રહેતા રાજેશ સેમ્યુઅલભાઇ મેકવાનને કોરા કાગળમાં વિલ કરી જમીન લખી આપેલ અને અને આ વિલને નોટરી રૃબરૃ નોટરાઈઝ કરાવ્યું હતું.