મહેસાણાના રાધનપુર રોડ નજીક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ દાખલ
મહેસાણા:શહેરના રાધનપુર રોડ પર આવેલ આરૃષ ગ્રીનવીલા સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવીને અજાણ્યા શખસોએ રોકડ અને સોનાચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૃ કરવામાં આવી છે.
મહેસાણાના જુના માલગોડાઉન વિસ્તારમાં તસ્કરોએ એકીસાથે લોખંડ અને તેલની આઠ દુકાનોના તાળા તોડયા હતા. જોકે તેમાં કંઇજ ન મળતાં ચોરટોળકીને ફેરો પડયો હતો. શહેરમાં કડકડતી ઠંડીમાં તસ્કરો સક્રિય થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન રાધનપુર રોડ પર આવેલ આરૃષ ગ્રીનવીલા સોસાયટીમા ંરહેતા કલ્પેશભાઇ પટેલનું પરિવાર ઘરને તાળં મારીને પાંચ દિવસ પહેલા શીરડી ગયું હતું. તે વખતે મોકો જોઇને અજાણ્યા શખસોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં ચીજવસ્તુઓને વેરણછેરણ કરી રોકડ અને સોનાચાંદીના દાગીનાની ચોરી કરીને નાસી છુટયા હતા. આ અંગે મકાનમાલીક કલ્પેશભાઇ પટેલે જણાવ્યું હતું કે બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સાડાચાર તોલા સોનાના દાગીના અને રૃ.૪૩ હજારની રોકડ સહિતની મત્તાની ચોરી થઇ હોવાનું જણાય છે. જ્યારે આ અંગે ફરિયાદ નોંધાવાની તજવીજ શરૃ કરી હોવાનું જાણવા મળે છે.