બોઇલ કરવા આપેલા રૃા.3.51 કરોડના હીરા ચોરી બે નેપાળી કર્મચારી ફરાર
સુરતના કતારગામ ગોતાલાવાડી સ્થિત હીરાના એક્ષ્પોર્ટ યુનિટ એચવીકે ઇન્ટરનેશનલ પ્રા.લિ. ના બોઇલર રૃમમાંથી અંદાજીત રૃ.3.51 કરોડથી વધુના હીરાની ચોરીની ઘટના બનવા પામી છે. ગતરોજ પ્રોસેસ માટે બોઇલર રૃમમાં મુકેલા અંદાજીત 1296.38 કેરેટ હીરાની ચોરી ત્યાં કામ કરતાં અતિ વિશ્વાસુ બે નેપાળી કર્મચારીએ જ કરી હોવાના ફૂટેજ મળતા કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ ગોતાલાવાડી ધર્મનંદન ડાયમંડ પાસે આવેલા હીરાના એક્ષ્પોર્ટ યુનિટ એચવીકે ઇન્ટરનેશનલ પ્રા.લિ માં બીજા માળે અને ચોથા માળે બોઇલ વિભાગ આવેલા છે. બીજા માળે આવેલા બોઈલ વિભાગમાં બે કારીગર રાજુભાઈ ગોગલા લુહાર ( રહે. રૃમ નં.4, રામબાગ, લાલ દરવાજા, સુરત. મૂળ. નેપાળ ) છેલ્લા 12 વર્ષથી અને મધુકર રાજારામ મહાજન (રહે. રામદેવ કોમ્પ્લેક્ષ, વેડરોડ, સુરત) છેલ્લા 15 વર્ષથી જયારે ચોથા માળે આવેલા બોઈલ વિભાગમાં પ્રકાશ નવરાજભાઈ કુંવર ( રહે. પહેલો માળ, 6/19-20-21-22, ઓફિસ 4, મંગલદીપ એપાર્ટમેન્ટ, જદાખાડી,મહિધરપુરા, સુરત. મૂળ. નેપાળ) છેલ્લા ચાર વર્ષથી અને રાજકરણ રામચંદ્ર મિશ્રા (રહે. 204, નાલંદા એપાર્ટમેન્ટ, રામજીનગર, વેડરોડ, સુરત) છેલ્લા 15 વર્ષથી નોકરી કરે છે.