ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં વધારો : એ.જી. રાઠોડ, એચ.ડી. ચાવડા, અને જે.કે. રાઠોડને સલામતી અધિકારી તરીકે મુકતો તાકીદનો હુકમઃ ચૂંટણી સમયે વિધાનસભા ઘેરાવો સહીતના કાર્યક્રમો સંદર્ભે પગલુ
રાજકોટ :લોકસભાની ચૂંટણી આડે ગણતરીના માસ બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્રારા વિધાનસભા સંકુલમાં ઘેરાવ સહિતના આંદોલનની ભીતી ધ્યાને લઇ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ત્રણ પોલીસ સબ ઇન્સપેકટરોને વિધાનસભા સલામતી દળમાં સલામતી અધીકારી તરીકે મુકતો તાકીદનો હુકમ કર્યાનું સુત્રો જણાવે છે.
વિધાનસભાના સચિવાલયના નાયબ સચિવના પત્ર સંદર્ભે આ નિર્ણય લઇ જેઓને સલામતી અધીકારી તરીકે મુકાયા છે તેમાં એ.જી. રાઠોડ (ખેડા,નડીયાદ) એચ.ડી. ચાવડા -સીઆઇડી ક્રાઇમ અને રેલવે તથા જે.કે.રાઠોડ -(ખેડા,નડીયાદ) હાલ એટેચ સ્ટેટ કન્ટ્રોલ રૂમ ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ વડા દ્રારા ત્રણેય પીએસઆઇને તાકીદે છુટા કરવા અને હાજર થયે ફેકસ દ્વારા જાણ કરવા પણ હુકમમાં સુચના આપ્યાનું સુત્રો જણાવે છે.