આણંદમાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીનો પ્રયાસ
આણંદ: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ પોલીસના નાકમાં દમ કરી દીધો છે. ઉપરાછાપરી તસ્કરો ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન આણંદ શહેરના સાંઈબાબા મંદિર વિસ્તારમાં આવેલ બે બંધ મકાનને તેમજ વઘાસી ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી લાખ્ખો રૂપિયાના સરસામાનની ઉઠાંતરી કરી હોવાના બનાવ આણંદ શહેર તથા આણંદ ગ્રામ્ય પોલીસ દફતરે નોંધાયા છે. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ શહેરના સાંઈબાબા મંદિર સામે આવેલ સૌરભ સમર્થ સોસાયટીમાં જીગરભાઈ અરવિંદભાઈ રાણા તથા તેમના પરિવારજનો રહે છે. ગત તા.૧૩ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ જીગરભાઈ તથા તેમનો પરિવાર ઉત્તરાયણ મનાવવા માટે પોતાના મકાનને તાળુ મારી ખંભાત ખાતે ગયા હતા. દરમ્યાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.