કોરોના ઈફેકટઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષાના ફોર્મ અને પરીક્ષાની તારીખ લંબાવાઈ
૧૦મી ડિસેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરી શકાશેઃપરીક્ષા ૨૩ જાન્યુઆરીએ લેવાશે
અમદાવાદ,તા.૧૭: દેશના કોઇપણ ખૂણામાં પ્રેકટિસ કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્રારા પરીક્ષા લેવાય છે,કોરોનાના કારણે હજુ કેટલીય યુનિવર્સિટીઓ દ્રારા પરીક્ષાના પરિણામો જાહેર કરવાના બાકી છે. જેથી આ બાબતની રજૂઆતને ધ્યાનમાં લઇને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવીને ૧૦ ડિસેમ્બર કરી છે.જયારે પરીક્ષાની તારીખ લંબાવીને ૨૩ જાન્યુઆરી ૨૦૨૧દ્ગક્ન રોજ લેવાની આજે જાહેરાત કરી છે. આ પરીક્ષામાં ગુજરાતમાંથી લગભગ દર વર્ષે ૩૫૦૦થી ૪૦૦૦ વિદ્યાર્થીઓ આપે છે.
દેશના કોઇપણ ભાગમાં ધારાશાસ્ત્રી તરીકે પ્રેકિટસ કરવા માટે સને ૨૦૧૦થી બીસીસીઆઇ દ્રારા પરીક્ષા લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પરીક્ષા પાસ કરનાર જ ધારાશાસ્ત્રીઓ જયુડીશિયલી તેમ જ કાયદાના સરકારી અધિકારી તરીકેની નોકરી માટે લાયક ગણાવામાં આવે છે. વર્તમાન સમયમાં દેશના તમામ ધારાશાસ્ત્રીઓ ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષાનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૭ ઓકટોબર ૨૦૨૦ રાખવામાં આવી હતી. પરંતુ ગુજરાતની લો યુનિવર્સીટીના પરિણામ છેલ્લાં પાંચ દિવસમાં આવ્યા છે. તેમાંય હજુ કેટલીક યુનિવર્સિટીના પરિણામ હજુ બાકી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જાહેરાત પ્રમાણે આવતીકાલે તા. ૧૭મીના રોજ પરીક્ષા ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પરિણામે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જવાની શકયતા હતી.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આ નિર્ણયને આવકારતાં ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કિરીટ બારોટ, તથા એકિઝકયુટિવ ચેરમેન ભરત ભગત અને શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી. કેલ્લાંએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓની પરીક્ષા ફોર્મ તથા પરીક્ષાની તારીખ લંબાવવા અંગે અગાઉ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઇ પટેલ તરફથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે બીસીસીઆઇએ ચોક્કસ હકારાત્મક નિર્ણય કરવાની હૈયાધારણાં આપી હતી. તે મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પરીક્ષા ફોર્મ તથા પરીક્ષા બંનેની તારીખ લંબાવી છે. જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાની સાથે પરીક્ષાની તારીખ લંબાવી છે.