ગુજરાત
News of Friday, 17th September 2021

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિરમગામ ખાતે 21 દિવ્યાંગોને ટ્રાઇસિકલ અને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું

250 લાભાર્થીઓનો વીમો લેવામાં આવ્યો : નમો એપ ડાઉનલોડ કરાવી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસ નિમિત્તે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ ખાતે વિરમગામ નગરપાલીકા દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે  અમદાવાદ જીલ્લા ભાજપના અધ્યક્ષ  હર્ષદગીરી ગોસ્વામીના હસ્તે 21 દિવ્યાંગોને ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ દિવ્યાંગોને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. દિપીકાબેન સરડવા તરફથી રાસન કીટ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી વીમા યોજના મારફતે વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ તથા ઉપ પ્રમુખ દીપાબેન ઠક્કર તરફથી 250 લાભાર્થીઓનો વીમો લેવામાં આવ્યો હતો.

 આ ઉપરાંત વિરમગામન નગરપાલિકા તરફથી આરોગ્ય ચિકિત્સા શિબિર (મેડીકલ કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ ફિઝિશિયન,  ઓર્થોપેડિક,  ગાયનેક,  પીડિયાટ્રિશિયન , આઈ સર્જન, જનરલ સર્જન , સ્કિન સ્પેશિયાલિસ્ટ,  ડેન્ટિસ્ટ, લેબોરેટરી, ફિઝીયોથેરાપીસ્ટ અને અર્બન હેલ્થ દ્વારા વેક્સિનેશન નું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરમગામ શહેરમાંથી  428  લોકોએ લાભ લીધો હતો. અને "નમો એપ" ડાઉનલોડ કરાવી તેમજ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસ નિમિત્તે "પોસ્ટકાર્ડ" લખવામાં આવ્યા હતા. 

    આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ જીલ્લા ભાજપના અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. દિપીકાબેન સરડવા, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી અને વિરમગામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ નવદિપભાઈ ડોડીયા, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ દીપાબેન ઠક્કર, વિરમગામ શહેર ભાજપના પ્રમુખ નરેશભાઇ શાહ, મહામંત્રીઓ, વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશભાઈ પટેલ તથા વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલરો, શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તા, વિરમગામ શહેરના ડોક્ટર્સની ટીમ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(6:55 pm IST)