ગુજરાત
News of Thursday, 17th September 2020

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી ઇ-લોન્ચીંગ કાર્યક્રમ સંદર્ભે રાજપીપલા ખાતે શહેરી વિસ્તારનો કાર્યક્રમ યોજયો

મહાનુભોવોના હસ્તે NULM યોજના અંતર્ગત ૩ મહિલા સ્વસહાય જૂથોને કુલ રૂા. ૩ લાખની ૦ ટકા વ્યાજ ધિરાણ સહાયના મંજુરી પત્રો એનાયત કરવાની સાથે કરાયા MOU

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા :  ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણી ના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી યોજાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા,રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી શ્રીમતી દર્શીનીબેન કોઠીયા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી,જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફીસર જયેશભાઇ પટેલ સહિત મહિલા જૂથ સખી મંડળની બહેનો ઉપરાંત સહકારી મંડળીઓ, ખાનગી બેંન્કો, નાગરિક અને સહકારી બેંન્કોના પ્રતિનિધિઓની ઉપસ્થિતીમાં યોજાયેલા સ્થાનિક કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના માનવીની સાથો સાથ સૌથી વધુ મહિલાઓ અને બાળકોની ચિંતા કરી છે. મહિલાઓના ઉત્કર્ષ માટે ૦ ટકા વ્યાજ ધિરાણ સહાય લોનની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ તેમના પ્રસંગોચિત્ત ઉદબોધનમાં સરકારશ્રીની જીરો ટકા વ્યાજની ધિરાણ સહાયનો લાભ લઇ મહામારીના કપરા કાળમાં બહેનોને પગભર થવાની સાથે આત્મનિર્ભર બનવાની પણ  હિમાયત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે JLESG ના ત્રણ જૂથને રૂા. ૧ લાખ લેખે કુલ રૂા.૩ લાખની ધિરાણ સહાયના મંજુરી પત્રો એનાયત કરી તેના  MOU કરાયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લાને ફાળવાયેલ ૨૫૦ મહિલા સ્વસહાય જૂથો બનાવીને આવરી લેવાના લક્ષ્યાંક અંતર્ગત કુલ રૂપિયા અઢી કરોડના વ્યાજે ધિરાણ પુરું પડાશે. 

આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી  જ્યેશભાઇ પટેલે કાર્યક્રમની રૂપરેખા સાથે યોજનાકીય માહિતીની જાણકારી આપી હતી. NULM ના મેનેજર શ્રીમતી નિશા પરમારે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી અંતમાં આભારદર્શન કર્યું હતું.

(12:10 am IST)