વડોદરાના વાઘોડિયા રોડ પર રસ્તા પર ઉભેલ ગાય સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલ આમોદર નજીક બાઇક ચાલક રસ્તા ઉપર ઊભેલી ગાય સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવમાં વાઘોડિયા પોલીસે મૃતક વિરૂદ્ધ વાહન ચલાવતા સમયે બેદરકારી દાખવી પોતાનું મોત નીપજાવવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. વાઘોડિયાના પીપળીયા ખાતે વણકરવાસમાં રહેતો કમલેશ પરમાર વડોદરા શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.
દરમિયાન તે પીપળીયા નજીક આવેલ ગાયત્રી મંદિર પાસે થી બાઈક પર પસાર થઇ રહ્યો હતો. તે સમયે રસ્તા ઉપર ઊભેલી ગાય સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ધીરજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.