આણંદમાં તસ્કરોએ મકાનમાંથી 30 હજારની મતાની ઉઠાંતરી કરી
આણંદ:શહેરના મેફેર રોડ ઉપર આવેલા એક મકાનમાં ગત ૧૩મી તારીખના રોજ રાત્રીના સુમારે ઘુસેલા કેટલાક તસ્કરોએ લેપટોપ, રોકડ અને મોબાઈલ મળીને કુલ ૩૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી મૃગાક્ષીબેન મહેશભાઈ ગામીત મુળ ભરૂચ જિલ્લાના જબુ ગામના છે પરંતુ હાલમાં તેઓ બહેનપણી નીહારિકા સાથે મેફેર રોડ ઉપર આવેલી ડો. બકુલ જોષીની હોસ્પિટલ સામે આવેલા મકાનમાં પેઈન ગેસ્ટ તરીકે રહે છે. ગત ૧૩મી તારીખની રાત્રીના સુમારે ઘરના ઉપર આવવાનો દરવાજો ખોલીને કેટલાક તસ્કરો અંદર ઘુસ્યા હતા અને લેપટોપ, નીહારિકાનો મોબાઈલ ફોન તથા પર્સમાં મુકેલા રોકડા ૧૧હજાર મળીને કુલ ૩૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.