નડિયાદમાં ચોરીની ઘટનામાં સતત વધારો: ધોળા દિવસે જિલ્લા રોજગાર અધિકારીના ફ્લેટને નિશાન બનાવી તસ્કરોએ 92 હજારની મતાની ઉઠાંતરી કરી
નડિયાદ:શહેરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. શહેરના અમદાવાદી બજાર વિસ્તારમાં બનેલ ચોરીની ઘટનાના પડઘા હજુ સમ્યા નથી ત્યા શહેરના પોષ વિસ્તાર વાણીયાવડમાં આવેલ ફ્લેટમાં ધોળા દિવસે તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા નડિયાદ શહેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નડિયાદના સરદાર ભવનમાં ખેડા જિલ્લા રોજગાર અધિકારી તરીકે નિશાંત સુકલ ફરજ બજાવે છે. જેઓ વાણીયાવડ વિસ્તારમાં આવેલ જલસાગર એપાર્ટમેન્ટમાં ઇ.૫ નંબરના મકાનમાં રહે છે. ક્લાસ વન કક્ષાના અધિકારી આજે સવારે ૧૦.૩૦ વાગ્યે પોતાના નિત્યક્રમ મુજબ ફરજ પર પહોચ્યા હતા. જે બાદ બપોરે ૩.૧૫ વાગ્યે તેમના પડોસી સંજયભાઇએનો ફોન આવ્યો હતો. અને તેમના ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું સાંભળતા જ કઇક અજુગતુ બન્યુ હોવાની ફાડ તેઓને પડી હતી, જેથી અધિકારી તુરંત પોતાના ઘરે દોડી આવ્યા હતા. ઘરે આવી તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે કોઇ અજાણ્યા તસ્કરો ઘરના દરવાજાનુ તાળુ, ઇન્ટર લોક તોડી ઘરમાં પ્રવેસ્યા હતા અને બેડરૂમમાં મુકેલી તિજોરી તોડી તમામ સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. તિજોરીમાંથી સામાન બેડ પર નાખી તેમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, કારની ચાવી મળી અંદાજીત રૂપીયા ૯૨ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.