ગુજરાત
News of Thursday, 17th June 2021

અમદાવાદમાં વાદળછાયા વાતાવરણથી બે દિવસમાં 12 ફ્લાઇટ રદ : 9 ફ્લાઇટો મોડી

અમદાવાદ :શહેરમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના લીધે 9 ફ્લાઇટ લેટ પડી છે. તેમજ 12 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.વાદળછાયા વાતાવરણને કારણે વિવિધ ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાતી હોય છે જેને કારણે સામાન્ય કરતા વિઝીબીલીટી ઓછી હોય ત્યારે ફ્લાઇટ્સને ટેકઓફ માટે ATCદ્વારા મંજૂરી આપવામાં નથી આવતી. ગુરુવારે પણ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી માહોલ હતો જેને કારણે અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 09 ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં મોડી પડી અને 12 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

 અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઓપરેટ કરાતી હોવાને કારણે રોજબરોજ અનેક ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવતું હોય છે. ગુરુવારે અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ થનારી લખનૌ , દિલ્હી , બેંગલુરુ જતી ફ્લાઇટના ટેકઓફમાં વિલંબ થયો હતો જેને કારણે મુસાફરોએ એરપોર્ટ પર જ સમય વિતાવવો પડ્યો હતો.

અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી વિવિધ ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ થી લઈને 4 કલાક મોડી જેટલી મોડી પડી હતી. તો બુધવારે રાત્રે અમદાવાદ શહેરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરાયેલ 6 ફ્લાઇટ્સને અસર થઈ હતી જેને કારણે ગુરુવારે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદ  એરપોર્ટથી ઓપરેટ થતી લખનૌ, દિલ્હી, બેંગલુરુ , હૈદરાબાદ , ગોવા , વારાણસી , મુંબઈ, ચંદીગઢ જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી જેને કારણે મુસાફરોએ અન્ય વિકલ્પ શોધવાની ફરજ પડી હતી

(11:05 pm IST)