ગુજરાત
News of Wednesday, 16th June 2021

અમદાવાદમાં હજુ અડધો-અડધ વસ્તીને વેક્સિનનો પહેલો ડોઝ પણ લેવાનો બાકી

પૂર્વ ઝોનમાં માંડ 34 ટકા લોકોએ વેક્સિન લીધી: શહેરમાં કુલ સરેરાશ 47.56 ટકા લોકોએ વેક્સિન લીધી

અમદાવાદમાં હજુ અડધો-અડધ વસ્તીને વેક્સિનનો પહેલો ડોઝ પણ લેવાનો બાકી છે. અત્યાર સુધી અમદાવાદની 48 ટકા વસ્તીએ જ વેક્સિન લીધી છે. શહેરમાં ઝોન પ્રમાણે વેક્સિનેશનની ટકાવારી પર નજર કરીએ તો સૌથી વધુ શહેરના પશ્ચિમ ઝોનના લોકોએ વેક્સિન લેવાને લઇને જાગૃતતા બતાવી છે.

કોરોનાથી બચવા રસીકરણ જ એકમાત્ર રામબાણ ઇલાજ છે. તે દુનિયાભરના વૈજ્ઞાનિકો કહી ચૂક્યા છે. આમ છતા હજુ અમદાવાદમાં વેક્સિનેશનની ટકાવારી પર નજર કરીએ તો તે સંતોષજનક જણાતી નથી .

અત્યાર સુધી અમદાવાદના 4.90 લાખ સિનિયર સિટિઝન વેક્સિન લઇ ચૂક્યા છે. જ્યારે 7.93 લાખ યુવાઓએ વેક્સિન લીધી છે. સૌથી વધુ 1.59 લાખ યુવકોએ પશ્ચિમ ઝોનમાં, જ્યારે 1. 42 લાક યુવકોએ દક્ષિણ ઝોનમાં રસી મુકાવી છે. સૌથી વધુ 1.46 લાખ સિનિયર સિટિઝને પશ્ચિમ ઝોનમાં રસી લીધી છે.

અમદાવાદમાં હજુ સુધી માત્ર 48 ટકા લોકોએ જ રસી લીધી છે. ઝોન પ્રમાણે રસીકરણની સ્થિતિ જોઈએ તો 

ઝોન -રસી લેનારાની ટકાવારી
મધ્ય -49.13 ટકા
પૂર્વ -34.07 ટકા
પશ્ચિમ -60.42 ટકા
ઉત્તર -38.66
દક્ષિણ -42.48
ઉત્તર-પશ્ચિમ -79. 88
દ.પશ્ચિમ -47.80
કુલ સરેરાશ 47.56 ટકા લોકોએ વેક્સિન લીધી છે.બીજી લહેર તો હાલ અંત તરફ છે. પરંતુ ત્રીજી લહેરની ચેતવણી તમામ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો આપી ચૂક્યા છે. ત્યારે વહેલામાં વહેલી તકે તમામ લોકો વેક્સિન લઇ સુરક્ષિત થાય તે ખુબજ જરૂરી છે.

(12:10 am IST)