આણંદ એસઓજીએ રાત્રીના સુમારે કરમસદ નજીક તળાવ પરથી 2.34 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: એકની ધરપકડ
આણંદ:એસઓજી પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે કરમસદના દેવરાજપુરા સીમના તળાવ પાસે આવેલા ખેતરમાં છાપો મારીને ૨.૩૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલા એસઓજીના પોલીસ જવાનોને માહિતી મળી હતી કે, કરમસદના દેવરાજપુરા સીમમાં તળાવ પાસે આવેલા ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જેથી પોલીસની ટીમે છાપો મારતાં ત્રણ પૈકી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે એક શખ્સ ઝડપાઈ જવા પામ્યો હતો. જેનું નામઠામ પુછતાં તે મુળ નડીઆદના મલારપુરાનો પરંતુ હાલમાં કરમસદ ખાતે રહેતો ચિરાગભાઈ રમેશભાઈ રાવળ હોવાનું ખુલવા પામ્યું હતુ.