દહેજ ધણધણ્યું : ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ: 25થી વધુ લોકો ઘાયલ: 10 લોકોની હાલત ગંભીર
10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી :આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાયો
સુરત પાસેના દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બોઇલર ફાટતા ઘટના બની છે. ભીષણ આગ લાગતાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લાવવાની કવાયત હાથ ધરાઇ છે.
આ આગની દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 10ની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો.
વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો. આ ઘટના બાદ તંત્ર પણ એક્ટિવ થઈ ગયું છે જોકે, આગ કયા કારણોસર લાગી એની વિગતો હવે બહાર આવશે પણ દિલ્હી બાદ ગુજરાતમાં આગની મોટી ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થઈ ગયું છે