ડાકોર નજીક વરઘોડામાં પથ્થરમારો થતા મામલો ગંભીર: સામસામે હુમલામાં 13 ઈજાગ્રસ્ત
ડાકોર:નજીકના ઢુણાદરા ગામે ગત્ રોજ મોડી રાત્રે એક આર્મી જવાનના વરઘોડા પર પત્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું. વારંવાર થતા કોમી દંગલોને કારણે ચર્ચિત આ ગામમાં વધુ એક વખત કોમી દંગલ થતા રહીશોમાં રોષ વ્યાપ્યો હતો. આ પત્થરમારામાં ૧૨ થી ૧૩ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે અનેક ખાનગી વાહનોની તોડફોડ પણ થઇ હતી. મોડી રાત્રે કોમીદંગલ મચતા જિલ્લાની પોલીસ ટૂકડી ઢુણાદરા ગામે પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો.
આ બનાવ અંગે ડાકોર પોલીસ મથકે ૨૦ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામના અને બેંગ્લોર આર્મી કેમ્પમાં ફરજ બજાવતા આર્મી જવાન અનીલભાઇ પરમારના લગ્ન લેવાના હતા. જેથી ગત્ રોજ રાત્રીના તેમનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો. રાત્રે નવેક વાગ્યાના અરસામાં વરઘોડો જ્યારે ગામની મસ્જીદ નજીકથી પસાર થતો હતો ત્યારે વરઘોડામાં સામેલ જવાનોએ ફટાકડા ફોડયા હતા.