ગુજરાત
News of Thursday, 17th May 2018

જળસ્ત્રોતના વિવેકપૂર્ણ ઉપયોગથી ભાવિ પેઢીનેજળ સમૃદ્ધિનો વારસો આપવા મુખ્યમંત્રીનું આહવાન

વનબંધુ પ્રદેશ ડાંગ-આહવામાં જળ સંચય કામોમાં સહભાગી થતા વિજયભાઇ રૂપાણી :મુખ્યમંત્રી નાવમાં બેસી તળાવની જળકુંભી દૂર કરવાના શ્રમયજ્ઞમાં જોડાયા

ડાંગ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના સરહદી ક્ષેત્ર ડાંગ-આહવામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, આ જળ સંચય અભિયાનના જનઆંદોલનથી ગુજરાત પાણીના દૂકાળને દેશવટો આપશે.તેમણે કહ્યું કે, જળ સંચયના આ મહાયજ્ઞમાં ઠેર ઠેર લોકભાગીદારી વધી રહી છે તે આ જળઅભિયાનને જનઅભિયાન બનાવે છે.

  રાજ્યના ખૂણેખૂણામાંથી પ્રજાજનો, સામાજિક સંસ્થાઓ, સુજ્ઞજનોએ સ્વયંભૂ આર્થિક સહાય કરીને આ પવિત્ર યજ્ઞકાર્યમાં તેમનો ફાળો નોંધાવ્યો છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ૧૧ હજાર લાખ ધનફૂટ પાણીની સંગ્રહ શક્તિ વધારવાનો આ પુરૂષાર્થ છે તેમ પણ ઉમેર્યુ હતું.

    પાણી જ પ્રગતિનો-વિકાસનો આધાર છે, તેમ જણાવતા વિજયભાઇ રૂપાણીએ પાણીની અગત્યતા વર્ણવી, ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન રાજ્ય સરકારે આદર્યુ છે તેમ ઉમેર્યું હતું.

    હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચોમાસુ ગુજરાત ઉપર મન મુકીને વરસવાના વાવડ મળ્યા છે ત્યારે, વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતારી, પ્રભુના આ મહાપ્રસાદનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.

  પાણીના એકે એક ટીપાંનો ઉપયોગ ખેતી, પશુપાલન, વન પર્યાવરણ માટે થાય તેવા જળસંચયના કામો આ અભિયાન અંતર્ગત હાથ ધરાયા છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મૃતઃપાય થયેલી નદીઓ, કોતરોને પુનઃજીવિત કરવાના આયામનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો

(10:58 pm IST)