અમદાવાદના કોટ વિસ્તારના પેટાળમાં ઇતિહાસના તથ્યો: ઘી-કાંટાની હનુમાન પોળમાં એક મકાનમાંથી સુરંગ મળી
સુરંગનું બાંધકામ મોગલકાળનું હોવાનું અનુમાન: પુરાતત્ત્વ ખાતા દ્વારા તપાસ કરાશે.
અમદાવાદના કોટ વિસ્તારના પેટાળમાં કેટલાય ઇતિહાસના તથ્યો દબાયેલા છે.આજે બપોરના સમયે ઘી-કાંટાની હનુમાન પોળમાં એક મકાનના રિનોવેશનની કામગીરી દરમિયાન મકાનના નીચેના ભાગમાંથી સુરંગ મળી આવી હતી જેથી મકાનનું કામ બંધ કરાવી આ સુરંગ અંગે પુરાતત્ત્વ ખાતાને જાણ કરાઇ હતી.પ્રથમ દૃષ્ટિએ સુરંગનું બાંધકામ જોતા તે મોગલકાળનું હોવાનું અનુમાન છે પણ પુરાતત્ત્વ ખાતા દ્વારા તેની તપાસ કરાશે.
૧૩મી સદીમાં સાબરમતી નદીના કિનારે કર્ણાવતીની સ્થાપના થઇ હતી પણ ઇ.સ.૧૪૧૧માં સુલતાન અહેમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતુ જેણે કોટ બાંધી તેની અંદર શહેર વસાવ્યુ હતુ પણ અમદાવાદ શહેર ઉપર મોગલ, મરાઠા અને અંગ્રેજોએ લાંબો સમય શાસન કર્યું હતુ તેના સ્થાપત્યના પ્રતિકો આજે ઐતિહાસિક વારસા તરીકે સચવાયેલા છે. શહેરના કોટ વિસ્તારમાં જ્યારે ખોદકામ કરાય ત્યારે સુરંગ કે એ પ્રકારના બાંધકામો મળતાં હોય છે જેથી તેની ઐતિહાસિક પુષ્ઠભૂમિ તેનું મહત્ત્વ નક્કી કરે છે.