મોડીરાત્રે વડોદરાના વાઘોડિયામાં બે કોમ વચ્ચે બઘડાટી : પથ્થરમારો : વાતાવરણ તંગ : પોલીસ કાફલો દોડ્યો
સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વાતાવરણમાં તંગદિલી ફેલાઈ
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં જય અંબે ચોકડી નજીકની એક સોડાની દુકાનમાં બુધવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બે કોમના વ્યક્તિઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી.બાદમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ ડહોળાયું હતું. ગણતરીની મિનિટોમાં બંને કોમના ટોળાઓ સામસામે આવી જઈને પથ્થરમારો શરુ કરી દીધો હતો.વાતાવરણ વધુ તંગ બન્યું હતું.
વાઘોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થિતિ વણસતી અટકાવવા વડોદરાથી એલ.સી.બી તેમજ એસ.ઓ.જી નો સ્ટાફ સહીત ડભોઇથી પણ પોલીસ કાફલો વાઘોડિયા ખાતે મોકલાયો હતો. મોટી સંખ્યામાં પહોંચેલા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને ટોળાઓને વિખેવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાતસુધી પોલીસ દ્વારા પેટ્રોલિંગ જારી રખાયું હતું.