ગુજરાત
News of Saturday, 17th April 2021

ન પીવા પાણી, PPE કીટ વીના જ અંત્યેષ્ટી કરાવતાં મસાણિયા

અમદાવાદમાં રોજ ૧૦૦થી વધુના કોરોનાથી મોત : કોર્પોરેશન હસ્તકના સ્મશાન ગૃહોમાં મસાણિયા પોતાના જીવના જોખમે અંતિમક્રિયાની ફરજ બજાવી રહ્યા છે

અમદાવાદ, તા.૧૭ : શહેરમાં દરરોજ ૧૦૦થી વધુ લોકોનોને કોરોના ભરખી રહ્યો છે. ત્યારે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહોનો નિકાલ કરવાનો પણ પ્રોટોકોલછે. તેના કારણે સ્મશાનમાં રોજ ૩થી કલાકનું સુધીનું વેઇટિંગ થઈ રહ્યું છે. તો બીજી તરફ દરરોજ સંખ્યાબંધ કોવિડ ડેડ બોડીનો નિકાલ કરનાર મસાણિયાઓની હાલત પણ અત્યારે કફોડી બની રહી છે. મસાણિયાઓ પર ડેડ બોડીનો નિકાલ કરવાનું એટલું ભારણ હોય છે કે તેઓ સતત ચોવિસ કલાક કામ કરવા માટે મજબૂર છે. આવા સમયે તેમને તો સમયસર પીવાનું પાણી મળે છે તો જમવાનું મળે છે. વધુમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાઓ પણ હોવાથી જીવના જોખમે સતત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.

કોરોના મૃતદેહની નજીક પણ જતા લોકો ડરે છે તેવા સમયે કોઈ જાતની પીપીઈ કીટ વગર આવા મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા અને પોતાના જીવને જોખમમાં મૂકતા લોકો માટે કોર્પોરેશન દ્વારા કમસેકમ જમવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. મહત્વનું છે કે મહામારીના સમયમાં નજીવા પગારમાં પોતાના જીવને જોખમમાં મૂકીને ફરજ બજાવતા મસાણિયા પણ કોરોના વોરિયર ગણાવા જોઈએ.

કોરોનાનો કહેર વધતા શહેરમાં રોજ ૧૦૦થી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. બીજી તરફ મૃતકના શબની પણ નિયમ મુજબ અંતિમવિધિ કરવાની હોય છે. ત્યારે મૃતકનું શબ સ્મશાન પહોંચે ત્યારે તેની અંતિમ વિધિ કરતા પણ ચેપ લાગે તેવી પૂરેપૂરી શક્યાતો રહી હોય છે. તેવામાં પોતોના જીવ જોખમમાં મૂકીને મસાણિયાઓ રાત દિવસ એક કરીને પોતાની ફરજ નિભાવે છે.

નોંધનીય છે કે કોર્પોરેશન હસ્તક જેટલા પણ સ્મશાન છે તેના સંચાલન માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. જેના આધારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેને કોન્ટ્રાક્ટ મળે તે નજીવા પગારે સ્મશાનમાં શબની અંતિમ વિધિ કરવા માટે માણસો રાખે છે. ત્યારે કોરોના કાળમાં ડેથ બોડી ડિસ્પોઝ કરતા ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે. તો શહેરમાં એવા પણ કેટલાક સ્મશાન છે જ્યાં રાઉન્ડ ધી ક્લોક એટલે કે ૨૪ કલાક સતત મસાણિયાઓ કામ કરે છે. જોકે તેમને પીવાનું સારું પાણી કે બે ટંક જમવાનું પણ મળતું નથી. તેવામાં લોકો માટે કોર્પોરેશને યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

એક મસાણિયાએ નામ આપવાની શરતે જણાવ્યું કે અમને ખૂબ ઓછા પગારે રાખવામાં આવે છે. છેલ્લા એક મહિનાથી જીવના જોખમે રાત દિવસ જોયા વગર કામ કરીએ છીએ. પણ સમયસર પીવા માટે સારું પાણી કે ભોજન પણ મળતું નથી. ઓછામાં ઓછું અમારા માટે આટલી વ્યવસ્થા કરવામાં આવે તો પણ ઘણું છે.

(9:06 pm IST)