ગુજરાત
News of Saturday, 17th April 2021

નવી સિવિલમાં અલગ-અલગ ૪૯,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર :કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ થી ૬૦ ટન ઓક્સિજનનો વપરાશ

નવી સિવિલમાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા દર્દીઓને પૂરતી માત્રામાં ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા: છેલ્લા દસ દિવસમાં અંદાજે ૫૫૦ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે

સુરતઃશનિવાર: શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે સિવિલ તંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ ૧૨૦૦ થી વધુ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત રહે છે. અગાઉ દરરોજ પાંચ ટન ઓકિસજનની જરૂરિયાત રહેતી હતી. આજે દર્દીઓની સંખ્યા વધવાના કારણે હાલમાં દરરોજ ૫૫ થી ૬૦ ટન જેટલા ઓકિસજન પુરવઠાનો વપરાશ થઈ રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં અંદાજિત ૫૫૦ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.
   નવી સિવિલ હોસ્પિટલમાં ઓકિસજનની જરૂરીયાતે પહોચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્કો ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં જૂની બિલ્ડીંગ તથા કિડની હોસ્પિટલમાં ૧૩,૦૦૦-૧૩૦૦૦ લિટરની ટેન્કો જયારે સ્ટેમ સેલ કોવિડ બિલ્ડીંગમાં ૧૭,૦૦૦ની ટેંક ઉપરાંત વધારાની ૬૦૦૦ લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક સ્થાપિત કરવામાં આવી છે. આમ કુલ ૪૯,૦૦૦ લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર શક્ય બની છે. લિક્વિડ ઓક્સિજનની સાથોસાથ દર્દીઓને એમ્બ્યુલન્સમાં, એક વોર્ડથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવા, ટ્રાન્સપોર્ટ, લિફ્ટમાં અવરજવર દરમિયાન રોજના ૩૦૦ થી ૪૦૦ ઓક્સિજન બોટલોનો વપરાશ થઈ રહ્યો છે.

  સિવિલમાં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને હવે ઓક્સિજનની તંગી નથી. દરેક કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર સજ્જ છે. ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર કરી તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે. સ્ટોરેજ કેપેસિટી વધવાથી વધુ સમય માટે ઓક્સિજનનો સ્ટોરેજ રાખી શકાય છે.  હાલ તમામ ટેન્કોને દિવસમાં સરેરાશ બે વાર રિફીલ કરવામાં આવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્સિજન ટેન્કોમાં હાઈ કેપેસિટી ધરાવતું ઓક્સિજન ટેંક સાથે વેપોરાઇઝર પણ કાર્યરત હોય છે. ઓક્સિજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. ઓક્સિજન લિક્વીડ સ્વરૂપમાં હોવાથી તેને સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી, પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે. ટેંકમાં રહેલો લિકવીડ ઓક્સિજન (-૧૯૬ ડિગ્રી સેલ્સિયસ) તાપમાન ધરાવતો હોય છે. જેને દર્દીના રૂમ ટેમ્પરેચરમાં ૩૦ થી ૩૫ ડિગ્રીએ લાવવો જરૂરી હોય છે, આ પ્રક્રિયા દરમિયાન પાઈપલાઈન પર બરફ જામી જતો હોય છે, જેને અટકાવવાં માટે પણ વેપોરાઈઝરનો ઉપયોગ થાય છે.

(7:04 pm IST)