ગુજરાત
News of Saturday, 17th April 2021

ઓક્‍સીજન વધારવા માટે હોમિયોપેથીક કોઇ દવા નથી, ઉંધા સુઇ જવાથી ઓક્‍સીજન લેવલ વધી જશેઃ વડોદરાના ડો. રાજેશ શાહની ટિપ્‍સ ઉપયોગી

વડોદરા: કોરોના થાય એટલે મોટાભાગના દર્દીઓના શરીરમાંથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે. આ કારણે અત્યાર સુધી અસંખ્ય દર્દીઓના જીવ ગયા છે. આવામાં ઓક્સિજન લેવલ જાળવી રાખવું બહુ જ જરૂરી છે. ઓક્સિજન લેવલ વધારવા માટે બહારથી ઓક્સિજનના બોટલ લાવવાની જરૂર નથી. દર્દી આપમેળે ઘરે પણ ઓક્સિજનની માત્રા વધારી શકે છે. તો સાથે જ ઓક્સિજનની માત્રા વધારવા માટે હોમિયોપેથીની દવા કારગત નીવડે કે કે કેમ? લોકોના મનમાં મૂંઝવતા અનેક સવાલોનો જવાબ હોમિયોપેથીક તબીબે આપ્યો છે.

બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધશે

વડોદરાના હોમિયોપેથીક તબીબ ડો રાજેશ શાહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં શરીરમાં ઓક્સિજન લેવલ વધારવાના ઉપાયો પર ગાઈડન્સ આપ્યું. તેમણે જણાવ્યું કે, ઓક્સિજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓક્સિજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. તો સાથે જ તેમણે કહ્યું કે, ઓક્સિજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. કોરોનાગ્રસ્ત દર્દી કે સાજા વ્યક્તિ દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધે છે.

ઓક્સિજન લેવલ વધારવાની કોઈ દવા નથી

ઓક્સિજન લેવલ વધારવાની ટિપ્સ અંગે તેમણે કહ્યું કે, યોગમાં દિવસમાં બે વખત 15 મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓક્સિજન લેવલ વધે છે. સા જ રોજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ. હોમિયોપેથીકની ઇમ્યુનિટી વધારવાની ગોળી આવે છે, પરંતુ ઓકિસજન લેવલ વધે તેવી કોઈ દવા નથી આવતી. કોરોનાગ્રસ્ત દર્દીને વધુમાં વધુ ઊંધું સૂવું જોઈએ. તેનાથી તેના ફેફસાં વધુ ખૂલે, જેનાથી ઓક્સિજનનું લેવલ સચવાય અને વધે છે. સાથે જ શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી પડે.

(5:18 pm IST)