ગુજરાત
News of Saturday, 17th April 2021

ગાંધીનગર નજીક દહેગામમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાઈક ચાલકનું ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગોની સાથે હવે આંતરિક માર્ગો ઉપર પણ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં મૃત્યુઆંક પણ દિવસે દિવસે વધી રહયો છે. ત્યારે દહેગામના મોતીપુરાથી નજુપુરા માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ આધેડનું મોત નીપજયું છે. આ અંગે મોતીપુરા ખાતે રહેતાં ધર્મેશ કનુસિંહ રાઠોેડે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા કનુસિંહ બુધાજી રાઠોડ તેમજ બહેન બાઈક નં.જીજે-૧૮-પીસી-૯૨૪૦ લઈને નજુપુરા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા તે દરમ્યાન મોતીપુરાથી નજુપુરા રોડ ઉપર ઢાળ પાસે અન્ય બાઈક ચાલકે ટકકર મારી હતી. જેથી આ બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી જયારે તેમના પિતા કનુસિંહને ગંભીર ઈજાઓ હોવાથી દહેગામ સરકારી દવાખાને અને ત્યાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેમની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા. ગઈકાલે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. હાલ પોલીસે આ અંગે બાઈક ચાલક દેવકરણના મુવાડાના ગણપતભાઈ કાંતિભાઈ દેવીપુજક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. 

(5:09 pm IST)