વડોદરા:વોર્ડ નં-5 સહીત 13 માં પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા અધિકારીને રજુઆત કરવામાં આવી
વડોદરા: વિશ્વામિત્રી મહાકાળીનગરમાં પીવાનું પાણી છેલ્લા એક વર્ષથી અપૂરતું મળતા લોકોએ મોરચા સ્વરૃપે જઇ રજૂઆત કરી પાણી પ્રશ્ન હલ કરવા માગ કરી હતી.
વોર્ડ નં.૫ અને ઇલેક્શન વોર્ડ નં.૧૩ માં વિશ્વામિત્રી મહાકાળી નગરમાં પીવાનું પાણી છેલ્લા એક વર્ષથી લોકોને પૂરતુ મળતું નથી. સ્થાનિક રહીશો પીવાના પાણીની અછતને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોને પીવાનું તો ઠીક વપરાશ પૂરતું પણ પાણી મળતુ નથી. વિસ્તારના રહીશોએ એ પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવતા પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ નં.૫ ના કચેરી ખાતે અધિકારી સમક્ષ મોરચો લઇને રજુઆત કરાઇ હતી.
અગાઉ વારંવાર ધ્યાન દોરવા છતાં કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. રેઢિયાળ વહીવટી તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગશે અને આવી ગંભીર બેદરકારી કયાં સુધી રાખશે તેવો રોષ ઠાલવીને કહ્યું હતું કે જો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન કરાશે. દરમિયાન પાણી પુરવઠા વિભાગના અધિકારીએ બે-ત્રણ દિવસમાં પ્રશ્ન હલ કરવા ખાતરી આપી છે.