સુરતના પાંડેસરાની દુષ્કર્મ હત્યા પ્રકરણમાં આરોપીઓને ઝડપી લેવા માટે 300 પોલીસ જવાનોની ટીમ તપાસમાં જોતરાઇઃ સીસીટીવી ફુટેજને આધારે શંકાસ્પદ હિલચાલ ઉપર નજર
સુરત : સુરતના પાડેસરા વિસ્તારમાં બાળા ઉપર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ આ પ્રકરણનો ભેદ ઉકેલવા પોલીસના ૩૦૦ જેટલા જવાનોની ટીમને કામે લગાડી દેવામાં આવી છે અને સીસીટીવી ફુટેજના આધારે આ વિસ્તારમાં થયેલી હિલચાલ ઉપર નજર રાખીને શંકાસ્પદોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. આ અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, ‘બાળકીની ઓળખ કરવા માટે અને કેસનો ઉકલે લાવવા માટે 300 જેટલા પોલીસ જવાનોની ટીમને કામે લગાડાઈ છે. જેઓ અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા છે.’
જ્યાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો તેની આસપાસના તમામ વિસ્તારોના દરેક ઘરને તપાસ કર્યા બાદ પોલીસ માની રહી છે કે આ જઘન્ય અપરાધ સુરતમાં નહીં પરંતુ અન્યત્ર આચરવામાં આવ્યો હોય અને ગુનાનું પગેરું ભૂંસી નાખવા માટે સુરત સુધી મૃતદેહને લાવીને છોડી દીધો હોઈ શકે છે. આ અંગે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ તર્ક આપતા કહ્યું કે, ‘જ્યાંથી ગર્લની બોડી મળી હતી તે જગ્યા નેશનલ હાઇવે નંબર 8થી ઘણી નજીક છે. જો કોઈ લોકલ ક્રિમિનલને આ કામ કર્યું હોય તો તે આ રીતે રસ્તા પર મૃતદેહ છોડીને ન જાય. ચોક્કસપણ ગુનેગારો બહારના હશે અને તેમણે ગુનો પણ બહાર આચર્યો હોવો જોઇએ. જે બાદ ગુનાનો કોઈ પુરાવો ન રહે તે માટે અહીં મૃતદેહને છોડી જવામાં આવ્યો હોઈ શકે છે.’
નેશલન હાઇવેની નજીક આવેલ આ સ્થળ અંદરની તરફ અવાવરુ જગ્યા છે. આ હાઇવે દિલ્હીથી મુંબઈ અમદાવાદ-સુરત થઈને પસાર થાય છે. તેમજ સુરતમાં પણ ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાંથી અનેક લોકો રોજગાર મેળવવા માટે આવે છે. ત્યારે પાંડેસરા અને ઉધના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં અન્ય રાજ્યોથી આવતા લોકો વસે છે.
તો અન્ય એક પોલીસ અધિકારીનું કહેવું છે કે, ‘એવી પણ શક્યતા છે કે શહેરમાં રહેતા કોઈ પરપ્રાંતિય દ્વારા આ બાળકીને પોતાના રાજ્યમાંથી લઇ આવવામાં આવી હોય અને પછી અહીં તેની હત્યા કરી દેવાઈ હોય. જોકે અમારી તપાસમાં હજુ સુધી સામે નથી આવ્યું કે આ બાળકી શહેરના કોઈ વિસ્તારની હોય.’
આ અંગે સુરત પોલીસ કમિશનર સતિશ શર્માએ કહ્યું કે, ‘શક્યતા છે કે કોઈ બહારના વ્યક્તિએ અન્યત્ર અપરાધ આચર્યો હોય અને ત્યારબાદ અહીં બાળકીના શરીરને છોડીને નાસી ગયા હોય. અમે કોઈપણ મુદ્દે ચાન્સ લેવા માગતા નથી અને તમામ શક્યતાઓ પર એકસાથે કામ કરી રહ્યા છીએ.’ તેમણે વધુમાં કહ્યું કે પોલીસ આ તરફ આવતા જતા તમામ રસ્તાઓ પરના CCTV ફૂટેજ પણ તપાસી રહી છે. તો નજીક આવેલ ટોલ પ્લાઝા પરના CCTV ફૂટેજને પણ ચેક કરવામાં આવી રહ્ય છે જેથી ઘટનાના દિવસે જો કોઈ વાહનમાં શંકાસ્પદ હિલચાલ દેખાય તો તેને પકડી શકાય.