વાસદ ટોલનાકા નજીક ટ્રાન્સજેન્ડર પર સામુહિક બળાત્કાર ગુજારવાના બનાવથી પોલીસ ફરિયાદ
વાસદ:ના ટોલનાકા પાસે આજે રાત્રીના સુમારે પૈસા ઉઘરાવતા એક ટ્રાન્સજેન્ડર(માસી)ને ઉઠાવી જઈને ત્રણથી ચાર જેટલા સરદારજીઓએ સામુહિક ગેંગરેપ કરીને ઢોર માર મારતાં ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે ઘવાયેલા ટ્રાન્સજેન્ડરને અન્ય સાથી ટ્રાન્સજેન્ડરો ઈકો કારમાં દવાખાને લઈ ગયા હોવાનુ ંજાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ નજીક આવેલા ગામડી ગામે કેટલાક ટ્રાન્સજેન્ડરોનું ગ્રૃપ રહે છે. તેઓ દ્વારા વાસદ પાસે આવેલા ટોલનાકા પાસે જતા આવતા વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવવાનું કામ કરવામાં આવે છે. આજે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે એક ટ્રાન્સજેન્ડર લાલી-લીપસ્ટીક લગાવીને પૈસા ઉઘરાવતો હતો ત્યારે એક ટ્રક ચાલક સરદારજી ટ્રાન્સજેન્ડરને પૈસાની લાલચ આપીને લઈ ગયો હતો ત્યારબાદ નજીકમાં અન્ય સાથી સરદારજીઓ સાથે તેના પર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ તેને લાતો તથા ફેંટોનો ગડદાપાટુનો માર મારતાં તેની હાલત ગંભીર થઈ જવા પામી હતી.
ઘટનાની જાણ સાથી ટ્રાન્સજેન્ડરોને કરવામાં આવતાં તેઓ ઈકો કાર લઈને વાસદ પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ટ્રાન્સજેન્ડરને લઈને આણંદ નગરપાલિકા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં નર્સને ઢોર માર માર્યો હોવાનું તેમજ ટ્રેચર લાવવાનું જણાવ્યું હતુ. નર્સે તુરંત જ ડોક્ટરને જાણ કરીને જો લોહી નીકળતુ હોય તો તાત્કાલીક સારવારની કરવાની તૈયારી બતાવી હતી પરંતુ લોહી નીકળતુ ના હોય પોલીસની વર્ધી લઈને આવવાનું જણાવતા ટ્રાન્સજેન્ડરો ત્યાંથી લઈને નીકળી ગયા હતા. આ અંગે શહેર પોલીસ મથકે તપાસ કરતાં આવું કોઈ નહીં આવ્યું હોવાનું જણાવ્યું હતુ જ્યારે વાસદ પોલીસનો સંપર્ક કરતા તેમના ધ્યાન પર પણ કોઈ આવી વાત નહીં આવી હોવાનું પોલીસ જણાવી રહી છે. જો કે સમગ્ર ઘટનાને લઈને ટ્રાન્સજેન્ડરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાન્સજેન્ડરને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ડોક્ટર દ્વારા પોલીસને વર્ધી લખાવ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે તેમ મનાઈ રહ્યું છે.