કઠુઆ - ઉન્નાવ પ્રકરણઃ કાલે અમદાવાદમાં મૌન રેલી
સુરેન્દ્રનગર અને દ્વારકામાં શુક્રવારે મૌન રેલીઃ વાંકાનેરમાં આજે સાંજે કેન્ડલ માર્ચ
રાજકોટ તા. ૧૭ :.. કાશ્મીરના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવ ગામે સર્જાયેલ બળાત્કારની ઘટનાઓ સામે અમદાવાદ ટાસ્ક ફોર્સ દ્વારા કાલે બુધવારે સાંજે પ થી ૮-૩૦ થી વાગ્યા સુધી મૌન રેલી અને પ્રાર્થના સભા યોજવામાં આવી છે.
મકતમયુરા વોર્ડ અને સરખેજ વોર્ડ માંથી આ રેલીનું આયોજન કરેલ છે. જેમાં આશરે ર૦,૦૦૦ લોકો સ્વૈચ્છીક રીતે હાજર રહેવાની સંભાવના છે.
રેલીનો રૂટ (૧) જુહાપરા સર્કલથી સોનલ (ગાંધી હોલ) ભેગાં થશે. (ર) સરખેજ સર્કલથી સોનલ (ગાંધી હોલ) ભેગા થશે. પ્રાર્થના ગાંધી હોલની બહાર ખુલ્લી જગ્યામાં થશે. જેમાં હાર્દિક પટેલ પાસ કન્વીનર, ઇમરાન ખેડાવાલા-ધારાસભ્ય, જમાલપુર, શૈલેષ પરમાર-ધારાસભ્ય, દાણીલીમડા, રામશાહ પઠાણ-એડવોકેટ, મુજાહીદ નફીસ માઇનો. કો. કમીટી, કેવલસીંગ રાઠોડ -સામાજીક એકતા જાગૃતિ ઉપસ્થિત રહેનાર છે. તેમ આસીફ સૈયદ, અનિસભાઇ દેસાઇએ જણાવ્યું છે.
વઢવાણ
વઢવાણ : આસિફા બળાત્કાર પ્રકરણ અને હત્યાના મામલામાં ગુજરાત સૌરાષ્ટ્રભરના મુસ્લીમ સમાજમાં રોષ છવાયો છે. જયારે દેશભરમાં ભાજપના સાંસદ સામે લોક જૂવાળ પ્રગટયો છે. ત્યારે ઠેર ઠેર વિરોધના વંટોળ વચ્ચે મુસ્લીમ સમાજમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
આ બનાવને વખોડતા સુરેન્દ્રનગર શહેરના મુસ્લીમ સમાજના રાહબર અને પિરેતરીકા સૈયદ હાજી યુસુફમીયા બાપુના અધ્યક્ષ સ્થાને શુક્રવારે ઘાંચીવાડ ખાતેથી મૌન રેલી યોજી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી અને વિરોધ દર્શાવી અને સખ્તમાં સખ્ત આકરી સજા અને ફાંસીની સજાની માંગ કરવામાં આવનાર છે.
વાંકાનેર
વાંકાનેર : જમ્મુના કઠુઆ ઉત્તર પ્રદેશના ઉન્નાવ તથા ગુજરાતના સુરતમાં માસૂમ બાળાઓ પર દુષ્કર્મ આચરી હત્યા કરાતા તેના દેશ-વિદેશમાં ઘેરા પડઘા પડયા છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જેમાં તમામ ધર્મના લોકો જોડાઇ નરાધમોની બર્બરતાનો વિરોધ કરી તેઓની ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ અંગે ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજાઇ રહી છે.
જેમાં આજે મંગળવારે ગ્રીન ચોક, વાંકાનેર ખાતે સાંજે ૬.૩૦ કલાકે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે. જેમાં હિન્દુ - મુસ્લિમ સમાજના લોકો જોડાશે.
દ્વારકા
દ્વારકામાં શુક્રવારે ૪ વાગ્યે હુસેની ચોક મસ્જીદથી પ્રાંત અધિકારી કચેરી સુધી મૌન રેલી નિકળનાર છે. (પ-પ)