ખોખરામાં લાખોની મત્તાની ચોરી થતા ભારે સનસનાટી
શિક્ષકના ઘરમાંથી ૩૦ તોલા સોનાની ચોરી થઈ : શિક્ષક પરિવાર ધાબા પર નિંદ્રાધીન હતો ત્યારે તસ્કરોએ ઘરમાં હાથ સાફ કર્યો : પોલીસની મામલામાં ઉંડી તપાસ
અમદાવાદ,તા. ૧૬ : શહેરના ખોખરા વિસ્તારમાં ખોખરા પોલીસ સ્ટેશનથી માંડ ૨૦૦ મીટરના અંતરે આવેલા ડિવાઇન એવન્યુ એપાર્ટમેન્ટમાં તસ્કરોએ એક શિક્ષકના ઘરમાં હાથ સાફ કરી ૩૦ તોલા સોનુ સહિત રૂ.૧૦ લાખની માલમતાની ચોરી કરીને જાણે પોલીસને પડકાર ફેંકયો હતો. ચોરીની આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવને પગલે ખોખરા પોલીસ પણ જાણે ઉંઘતી ઝડપાઇ છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાતાં પોલીસે મોડે મોડેથી હવે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા ડિવાઇન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા અને આઇપી મિશન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં સમીરભાઇ જહોનભાઇ પરમાર તેમની પત્ની, બે બાળકો અને માતા સાથેના પરિવાર અહીં રહે છે. ગઇકાલે રાત્રે તેઓ પોતાના પરિવાર સાથે ગરમીના કારણે ધાબા પર ઠંડકના લીધે સૂવા માટે ગયા હતા અને પરિવાર નિંદ્રાધીન હતો તે સમયે અજાણ્યા તસ્કરોએ કટર વડે ફલેટની લોખંડની જાળી તોડી ત્યારબાદ લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી હાથ સાફ કર્યો હતો. વહેલી સવારે સમીરભાઇ ઉઠીને નીચે આવ્યા તો, ઘરની જાળી અને દરવાજો તૂટેલા હતા. ઘરમાં બધો સામાન વેરવિખેર પડયો હતો. તિજોરીમાંથી રૂ.૩૦ તોલા સોનું, ૩૫૦ અમેરિકન ડોલર, રૂ.૪૦ હજાર રોકડા સહિતની રૂ.દસ લાખની માલમતા ચોરાઇ ગઇ હોવાની જાણ થતાં તેમણે તાત્કાલિક આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તસ્કરો તેમના ગુનાહિત કૃત્યને સફળતાપૂર્વક અંજામ આપીને રફુચક્કર થઇ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે સમીરભાઇએ ખોખરામાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તસ્કરોને પકડવાની તપાસ હાથ ધરી છે.