બોરસદ તાલુકાના નાપાવાંટામાં પૈસાની બાબતે હિંસક હુમલો
બોરસદ: તાલુકાના નાપાવાંટા ઈન્દિરા કોલોનીમાં ગઈકાલે સવારના સુમારે ઢાળીયા સાફ કરવાની મજુરીના પૈસા બાબતે એકને માથામાં વચ્ચે ધારીયું મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર જુમ્મા મસ્જીદ પાસે રહેતા રણજીતસિંહ ઉદેસિંહ રાણાના પુત્ર સમીરને ઢાળીયા સાફ કરવાના મજુરીના પૈસા આપવા બાબતે માર મારવાની ધમકી અંગે ઠપકો કરતાં અમરસિંહ જીતસિંહ રાણા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલતો હોય રણજીતસિંહે ગાળો બોલવાની ના પાડી હતી જેથી નજીકમાંથી ધારીયું લઈ આવ્યો હતો.
અમરસિંહનું ઉપરાણુ લઈને ઈમરાન અમરસિંહ રાણા, આરીફ અમરસિંહ રાણા તથા રૂપબા અમરસિંહ રાણા આવી ચઢ્યા હતા અને રણજીતસિંહને પકડી રાખતાં અમરસિંહે માથામાં વચ્ચેના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો.